Sanand: પીલુપુરાના ગ્રામજનોનો ખાનગી કંપનીઓ સામે વિરોધ, નિરમા અને પરીખ પેકેજિંગ કંપનીએ જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ

|

Mar 21, 2022 | 2:13 PM

જમીન ખાલી કરવા કંપની દ્વારા દબાણ કરાતું હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે. ગ્રામજનો ગૌચર સહિતની 51 એકર જમીન પરત આપવાની માગણી કરી રહ્યા છે.

સાણંદ (Sanand)ના મોરૈયાના પીલુપુરા ગામમાં જમીન કૌભાંડ (Land scam)નો આક્ષેપ કરવામાં આવ્યો છે. નિરમા અને પરીખ પેકેજિંગ ( Nirma and Parikh packaging) નામની ખાનગી કંપની દ્વારા ગ્રામજનોની 70થી 80 વીઘા જમીન પચાવી પાડવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. પીલુપુરા ગામના લોકોએ કંપની સામે વિરોધ (Protest) દર્શાવ્યો છે. આ આરોપ સાથે ગ્રામજનોએ હલ્લાબોલ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

પીલુપુરા ગામની 51 એકર જમીન પચાવી પાડવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. 300 કરોડથી વધુ કિંમતની ગામની જમીન અને ગૌચર કંપનીના નામે થઈ ગયાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો છે. ગામની 10 એકર અને 41 એકર ગૌચર જમીન નિરમા તેમજ પરીખ પેકેજિંગ કંપનીના નામે થઈ ગયાનો ગામલોકોનો આક્ષેપ છે.

કંપની દ્વારા ગામની ફરતે એક દિવાલ બનાવી દેવામાં આવી છે. ગામનું જે વર્ષો જુનુ મંદિર હતુ તે પણ કંપનીએ પોતાની હદમાં લઈ લીધુ છે. ગામની ટાંકી પણ ગામને બદલે કંપનીના નામે થઈ ગઈ છે. એટલુ જ નહીં ગામની પ્રાથમિક શાળા પણ ગામના બદલે બંને ખાનગી કંપનીના નામે થઈ ગઈ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામની આ જમીનના દસ્તાવેજો સાથે ચેડા કરી ગૌચર જમીન કંપનીએ પોતાના નામે કરી લીધી છે.

જમીન ખાલી કરવા કંપની દ્વારા દબાણ કરાતું હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે. ગ્રામજનો ગૌચર સહિતની 51 એકર જમીન પરત આપવાની માગણી કરી રહ્યા છે. આ વિશે કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર, DDO, તલાટી સહિતને ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગામલોકોમાં રોષનો માહોલ છે.

આ પણ વાંચો- Banaskantha: ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જનતા રેડ બાદ પોલીસ એક્શનમાં, પ્રોહીબિશનના 184 ગુના દાખલ કર્યા

આ પણ વાંચો- અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, 52 લાખ બાળકો મધ્યાહન ભોજનથી વંચિત રહ્યા

Next Video