Rajkot: સોની બજારમાં આવેલા તન્વી ગોલ્ડ કાસ્ટના શોરૂમમાં લાગી આગ, જ્વલનશીલ પદાર્થથી આગ લાગી હોવાનું અનુમાન
Rajkot: સોની બજારમાં તન્વી ગોલ્ડ કાસ્ટના શોરૂમમાં આગ લાગી હતી. જેમાં દાગીના બનાવવામાં વપરાતા જ્વલનશીલ પદાર્થને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગમાં કોઈ જાનહાનિ થવા પામી નથી.
રાજકોટ (Rajkot)માં સોની બજારમાં આગ (Fire) લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં તન્વી ગોલ્ડ કાસ્ટ નામના શો રૂમમાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે સમગ્ર બિલ્ડિંગમાં દોડાદોડી મચી ગઈ હતી અને લોકો આમ તેમ ભાગવા લાગ્યા હતા. આ બિલ્ડિંગમાં 200થી વધુ કર્મચારીઓ કરે છે. જો કે સદ્દનસીબે આગ નીચે પહોંચી ન હતી. જેના પગલે કોઈ જાનહાનિ થવા પામી નથી. આગની જાણ ફાયર બ્રિગેડ (Fire Brigade)ને કરવામા આવતા ચીફ ફાયર ઓફિસર સહિત ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. અહીં LPG સિલિન્ડરનો વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હતો. ફાયરની ટીમે 20 જેટલા સિલિન્ડર પણ બહાર કાઢ્યા હતા, જો કે આ સિલિન્ડર કાયદેસર હતા કે કેમ અને ઉપરના માળે મંજૂરી હતી કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
તન્વી ગોલ્ડ કાસ્ટના શો રૂમમાં પાંચમાં માળે આગ લાગી
આપને જણાવી દઈએ કે સોની બજારમાં આવેલ ભીમજીભાઈ શેરીમાં આવેલા બિલ્ડિંગમાં તન્વી ગોલ્ડ કાસ્ટ નામના શો રૂમના પાંચમા માળે આગ લાગી હતી. જ્યાં ઉપરના માળે કેન્ટિન આવેલી છે અને ત્યાં કિચનમાં આગ લાગી હોવાનું પણ અનુમાન છે તો બીજી તરફ સોની વેપારીઓ દ્વારા દાગીના બનાવવામાં માટે જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરતા હોય છે તો આ જ્વલનશીલ પદાર્થને કારણે પણ આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ તો ફાયરના જવાનોએ આગ પર કાબુ કરી લીધો છે. જો કે આ આગમાં કેટલી નુકસાની થઈ છે તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી.