રાજકોટ: લોધિકાના ખીરસરા ગામના ખેડૂતોને પાછોતરા વરસાદે રડાવ્યા, ખેતરોમાં જોવા મળ્યા તારાજીના દૃશ્યો- Video

|

Oct 22, 2024 | 6:03 PM

રાજકોટના લોધિકાના ખીરસરા ગામના ખેડૂતોની હાલત અત્યંત દયનિય બની છે. ખેડૂતો કાળી મહેનત કરીને, મોંઘા બિયારણ લાવી મગફળી, સોયાબિન અને કપાસનું વાવેતર કર્યુ હતુ. પરંતુ છેલ્લા 10 દિવસથી પડેલા વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી છે. tv9 સમક્ષ અસરગ્રસ્ત ખેડૂતોએ તેમની સ્થિતિ વર્ણવી.

સૌરાષ્ટ્રમાં પાછોતરા વરસાદે કહેર વરસાવ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભારે વરસાદને લઈને લોધિકાના ખીરસરા ગામમાં મગફળી અને સોયાબીનના પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતો હાલ પાક બચાવવા કામે લાગી ગયા છે. સતત વરસી રહેલ પાછોતરા વરસાદને લઇને ખેડૂતોનું આખું વર્ષ નિષ્ફળ જાય તેવો ઘાટ ઘડાયો છે.

જતા જતા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવા મજબૂર કરી દીધા છે. લગભગ વર્ષભરની મહેનત અને વાવેતર માટેનો ખર્ચ. માંડ ખેડૂતોએ કાઢ્યો હોય અને આ વરસાદને કારણે ખેડૂતોનો ખર્ચ અને મહેનત બન્ને પાણીમાં ગઈ. ખેડૂતોનું કહેવું છે કે વાવેતર માટે ચાર મહિનાથી કામે લાગ્યા હતા. બિયારણ, મજૂરી સહિતનો ખર્ચ ઉપાડ્યો હતો અને વરસાદને કારણે મગફળીનો પાક એ રીતે નષ્ટ થયો છે કે માર્કેટમાં મગફળી વેચવા માટે તો નથી જ ઉપયોગી પણ ઢોર માટે પણ આ પાક બચ્યો નથી. ત્યારે ખેડૂતોની સરકાર સહાયની માગ કરી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:02 pm, Tue, 22 October 24

Next Video