ગુજરાતમાં ચોમાસુ (Monsoon 2022) ક્રમશ: વિદાય લઇ રહ્યુ છે. 21 સપ્ટેમ્બરથી સત્તાવાર કચ્છમાંથી ચોમાસાની વિદાય થવાની શરુઆત થઇ ગઇ છે. પરંતુ હવામાન વિભાગે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં માત્ર વરસાદી (Rain) ઝાપટા પડવાની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં 2 ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે. ત્યારે હવામાન વિભાગે (Meteorological Department) કરેલી આગાહી મુજબ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે. જો કે નવરાત્રી સમયે જ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
નવરાત્રીનો પવિત્ર તહેવાર આજથી શરુ થઇ ગયો છે. ખેલૈયાઓ ગરબા રમવા માટે થનગની રહ્યા છે. જુદા જુદા પાર્ટી પ્લોટમાં અગાઉથી જ ઉત્સાહી યુવાઓએ બૂકિંગ પણ કરાવી દીધુ છે. જો કે નવરાત્રીના ઉત્સાહ અને વિદાય લઇ રહેલા ચોમાસા વચ્ચે પણ વરસાદ વિધ્ન બનીને આવ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઇને ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં ચિંતા જોવા મળી રહી છે.
ગીર સોમનાથ જિલ્લામાં નવરાત્રીના પ્રથમ દિવસે વરસાદ વિઘ્ન બનીને આવ્યો છે. ઉના, સૂત્રાપાડાના લોઢવા સહિતના દરિયાકાઠા વિસ્તારમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. ઉનાના અનેક વિસ્તારોમાં અડધો કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કોડીનારના દરિયા કાંઠે પણ વરસાદના હળવા ઝાપટાં પડ્યા છે.
બીજી તરફ અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના ખાંભા, ગીર પંથકના વાતાવરણમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ હતુ. જે પછી ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ખાંભા, ધુંધવાણા, ડેડાણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાંભા શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પ્રથમ નોરતે વરસાદ પડતા ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી ગઇ છે.