પંચમહાલના(Panchmahal) ગોધરા (Godhara )શહેરમાંથી મળી આવેલા ગુલીયન બેરી સિન્ડ્રોમ (Guillain-Barr syndrome)નામના રોગના ૧૦થી વધુ કેસના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. કેસની તપાસ માટે વડોદરાથી તબીબોની એક ટીમ ગોધરા પહોંચી હતી અને સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી.ટીમે ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં દયાનંદ નગર, ડોડપા ફળિયા અને એસઆરપી વસાહતમાં દર્દીઓના ઘરમાં ભરેલા પાણી, પાણીના વાસણોમાં એડિશ મચ્છરો છે કે કેમ તેની તપાસ કરી હતી. સાથે જ ખુલ્લી જગ્યાઓ અને અગાસીમાં રાખેલી પાણીની ટાંકીમાં પણ મચ્છરોના લારવા છે કે કેમ તે અંગે તપાસ કરી હતી.
ગુલિયન બેરી સિન્ડ્રોમ રોગના લક્ષણો
તબીબોના દાવા મુજબ આ રોગથી ભુરાવાવ વિસ્તારમાં અત્યાર સુધીમાં એક પણ મોત થયું નથી. જો કે, બીજી તરફ સ્થાનિકોમાં ગણગણાટ છે કે, આ રોગના કારણે 3 દર્દીના મોત થયા છે. હાલ 10 જેટલા દર્દીઓ વડોદરામાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, ગુલિયન બેરી સિન્ડ્રોમમાં દર્દીને શરૂઆતમાં હાથ-પગ દુ:ખે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જો અસર વધુ હોય તો દર્દીનું હલનચલન પણ બંધ થઈ જાય છે. આવા લક્ષણો ધરાવતા દર્દીઓએ તાત્કાલિક તબીબોનો સંપર્ક કરવા સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : પેલ્વિક ટીબી વંધ્યત્વનું કારણ બની શકે છે, જાણો તેના કારણો, લક્ષણો અને નિવારણની પદ્ધતિઓ
Published On - 8:11 am, Thu, 24 February 22