તાજેતરમાં રાજ્યમાં સિંહોની વસતી ગણતરી હાથ ધરાઈ હતી. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ હાથ ધરાયેલી વસતી ગણતરી પૂર્ણ થઈ છે. આ ગણતરી સમયે પાલીતાણાના સાંજણાસર વીડીના વિસ્તારમાં એક સાથે 20 સિંહોનું રોયલ ફેમિલી પણ નજરે પડ્યું. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ શાહી રોયલ ફેમિલીમાં 2 પુખ્તસિંહ, 6 સિંહણ અને 3 મહિનાથી એક વર્ષ સુધીના આશરે 12 બાળસિંહનો સમાવેશ થાય છે.
વન વિભાગના અધિકારીઓ મુજબ, ભાવનગરમાં વર્ષ 2020માં સિંહોની સંખ્યા 73 હતી. તે સંખ્યા હાલમાં થયેલી ગણતરી પ્રમાણે વધી છે. ભાવનગર જિલ્લાના બૃહદગીરમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જે ભાવનગર માટે ગર્વની વાત છે અને તેનું કારણ જિલ્લામાં અનુકૂળ વાતાવરણ અને જંગલ સાથેનો ડુંગરાળ વિસ્તાર મનાય છે.