નવસારી (Navsari) જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ટ્રેનનો સ્ટોપેજ બંધ થતા અનેક લોકોની રોજગારી (Employment ) છીનવાઈ છે. નવસારી રેલવે સ્ટેશનને બાદ કરતાં અન્ય નાના સ્ટેશન પર તેનું સ્ટોપેજ ન મળતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હાલાકી ભોગવવી પડી રહી છે. વલસાડથી (Valsad) સુરતની વચ્ચેના ગ્રામ્ય વિસ્તારના લોકો રૂપિયા 150થી 200ના માસિક પાસના નજીવા દરે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ કોરોનાકાળમાં સુરત વિરાર શટલ સહિતની અન્ય લોકલ ટ્રેન બંધ કરાઈ હતી અને માંડ માંડ આ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ નાના રેલવે સ્ટેશન (Railway station) પર ટ્રેનનું સ્ટોપેજ આપવામાં ન આવતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હાલાકી ભોગવવી પડી રહી છે. અંચેલીમાં ટ્રેન સ્ટોપેજ ન હોવાથી 2 હજારથી વધુ લોકો પ્રભાવિત થાય છે અને આ અંગે તેઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી.
અંચેલી સહિતના 17થી વધુ ગામના લોકોને માથાદીઠ 4,000થી વધુના ભારણ સાથે અપડાઉન કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ જિલ્લા ક્લેકટરને આવેદન પાઠવી ટ્રેનનું સ્ટોપેજ ફરી શરૂ કરવા માગ કરી છે. ત્યારે ક્લેક્ટરે પણ રેલવે વિભાગ સાથે સંપર્ક કરી ગ્રામજનોની સમસ્યામાં ઘટતું કરવાની વાત કરી છે. નોંધનીય છે કે ગ્રામ્ય વિસ્તારોમાંથી ધંધા રોજગાર માટે જતા લોકો મોટા ભાગે ટ્રેનનો ઉપયોગ કરે છે, જે તેમને આર્થિક રીતે પરવડે છે તેમજ સમયની બચત પણ થાય છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડના ગ્રામ્ય વિસ્તારના લોકોએ માંગણી કરી છે કે અંચેલી સહિતના નાના સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવે.