સ્વચ્છ ભારત મિશન હેઠળ ખરીદેલી ઇ-રિક્ષાઓ બની શોભાના ગાંઠિયા, ખોટા બિલ પાસ કરવાનું કૌભાંડ સામે આવ્યું
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારામાં ડોર-ટુ-ડોર કચરાના નિકાલ માટે લાવવામાં આવેલી કરોડોની ઇ-રિક્ષાઓ ધૂળ ખાઈ રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અધિકારીઓની મિલીભગતથી કાગળ પર ખોટા ફેરા દર્શાવી સરકારી નાણાંનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ મામલે હવે તંત્રએ તપાસના આદેશ આપ્યા છે.
નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાખોના ખર્ચે ખરીદાયેલી ઇ-રિક્ષાઓ હવે વિવાદનું કેન્દ્ર બની છે. નગરજનોને આશા હતી કે આ વાહનોથી કચરાનો યોગ્ય નિકાલ થશે, પરંતુ ઉદ્ઘાટનના થોડા જ દિવસોમાં આ ઇ-રિક્ષાઓના પૈડાં થંભી ગયા હતા. હાલમાં ડેડિયાપાડા અને સાગબારામાં આ રિક્ષાઓ માત્ર શોભાના ગાંઠિયા સમાન પડી રહી છે.
જનતાના ટેક્સના પૈસાથી આવા મોટા કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે. જ્યારે પણ સ્વચ્છ ભારત મિશન (SBM) અંતર્ગત શહેરોનું રેન્કિંગ નક્કી કરવા માટે કેન્દ્રીય ટીમ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવે છે, ત્યારે અધિકારીઓને માત્ર બતાવવા ખાતર જ આ પ્રકારના નાટકો રચે છે. આ તાયફાઓ પાછળનો મુખ્ય હેતુ સ્વચ્છતા સર્વેક્ષણમાં સારો રેન્ક મેળવવાનો હોય છે, જેથી સરકાર તરફથી વધુ ગ્રાન્ટ અને નવા મશીનોના નામે કરોડો રૂપિયા મંજૂર કરાવીને અન્ય મોટા કૌભાંડો આચરી શકાય. પ્રજાના કલ્યાણ અને સુવિધા માટે ફાળવવામાં આવતા સરકારી નાણાં લોકોના કામમાં વાપરવાના બદલે ભ્રષ્ટ અધિકારીઓ પોતાની તિજોરીઓ ભરી રહ્યા છે. જ્યારે પણ કોઈ સરકારી ઓડિટ (Audit) આવવાનું હોય, ત્યારે ધૂળ ખાતી આ રિક્ષાઓને અચાનક સાફ-સુથરી કરીને ચાલુ કન્ડિશનમાં બતાવી દેવાય છે અને ઓડિટ રિપોર્ટમાં સારા માર્ક્સ મેળવીને આ આખું કૌભાંડ દબાવી દેવામાં આવે છે.
સ્થાનિકોના ગંભીર આક્ષેપ અનુસાર, આ ઇ-રિક્ષાનો ઉપયોગ જમીન પર કરવાને બદલે માત્ર કાગળ પર જ થયો છે. સરકારી અધિકારીઓની મિલીભગતથી કાગળ પર ખોટા ફેરા (રાઉન્ડ) દર્શાવીને મોટા પાયે ખોટા બિલો મંજૂર કરાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જ્યારે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ સવાલો કરવામાં આવ્યા, ત્યારે શરૂઆતમાં તેઓ આખી ઘટનાથી અજાણ હોવાનું બહાનું કાઢતા હતા, પરંતુ વાસ્તવિકતા સામે આવ્યા બાદ હવે તંત્ર દ્વારા આ સમગ્ર મામલે કડક તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે.