ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) પહેલા રાજકારણ ગરમાયુ છે. અગાઉ તારીખ પે તારીખ આપીને અંતે રાજકારણમાં ન જોડાનારા નરેશ પટેલ (Naresh Patel) ચૂંટણી પહેલા ફરી ચર્ચામાં આવ્યા છે. નરેશ પટેલે કોંગ્રેસના (Congress) પાટીદાર નેતાઓ સાથે મુલાકાત કરી છે. તો નરેશ પટેલની કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત બાદ પાટીદાર નેતા મનહર પટેલનું મોટુ નિવેદન આપ્યુ છે. તેમણ જણાવ્યુ છે કે, આ વર્ષની ચૂંટણીમાં નરેશ પટેલ કોંગ્રેસને સપોર્ટ કરવાના છે.
થોડા મહિનાઓ પહેલા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ રાજકારણમાં જોડાવાના હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. આ ચર્ચા લગભગ પાંચ મહિના સુધી ચાલી હતી. જો કે 5 મહિના બાદ નરેશ પટેલે રાજનીતિમાં નહીં જોડાય તેવી જાહેરાત કરી હતી. નરેશ પટેલે તે સમયે જણાવ્યુ હતુ કે હું રાજકારણમાં નહીં જોડાઉં. તો નરેશ પટેલે રાજનીતિનો નિર્ણય મોકૂફ રાખતા જ કોંગ્રેસની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતુ. 2022 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાટીદાર નરેશ તરફ મીટ માંડીને બેઠી હતી અને નરેશ પટેલના માધ્યમથી ફરી એકવાર પાટીદારોના મત અંકે કરવાની રણનીતિ બનાવી હતી. જોકે નરેશ પટેલના એક નિર્ણયે કોંગ્રેસની તમામ યોજનાઓ ઉંધી વાળી દીધી હતી.
જો કે હવે કોંગ્રેસના પાટીદાર નેતાઓએ નરેશ પટેલ સાથે મુલાકાત કરતા ફરી ચર્ચાએ જોર પકડ્યુ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નરેશ પટેલે કોંગ્રેસના પાટીદાર નેતાઓ સાથે મુલાકાત કરી છે. કોંગ્રેસના પાટીદાર નેતાઓ દરેક ઝોનમાં ચિંતન શિબિર કરવાના છે. ત્યારે નરેશ પટેલ સાથેની આ મુલાકાત સૂચક માનવામાં આવે છે. આ મુલાકાતને લઇને પાટીદાર નેતા મનહર પટેલે પણ મોટુ નિવેદન આપ્યુ છે.
મનહર પટેલે જણાવ્યુ છે કે, નરેશ પટેલે 2017ની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસને મદદ કરી તે રીતે આ વખતે પણ મદદ કરશે. તો આ સાથે જ મનહર પટેલે નરેશ પટેલ સાથેની બેઠકમાં પાટીદાર નેતાઓને કોંગ્રેસમાં સાચવવા અને મેદાનમાં ઉતારવાની રણનીતિ ઘડાયાનો દાવો પણ કર્યો છે. જો નરેશ પટેલ કોંગ્રેસને સપોર્ટ કરશે તો કોંગ્રેસને ચૂંટણીમાં ઘણો ફાયદો થાય તેવી શક્યતા છે.