વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી દુર્ઘટના બાદ આજે દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યુ હતુ અને રેસક્યુ ટીમને પણ મળ્યા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિજનોને પણ પીએમએ રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી અને દિલસોજી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ સિવિલ હોસ્પિટલ જઈ ઈજાગ્રસ્તોના હાલચાલ જાણ્યા હતા. સમગ્ર દુર્ઘટના અંગે પીએમ મોદીએ એસપી ઓફિસે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમા સરકારના મંત્રીઓ, અધિકારીઓ, સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. જેમા રેસક્યુ કામગીરી અંગે વડાપ્રધાનને અહેવાલ સોંપવામાં આવ્યો હતો. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડાપ્રધાને સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લેતા ઝડપી તપાસના કડક આદેશ આપ્યા હતા.
આપને જણાવી દર્ઈએ કે ઝુલતા પૂલની મરમ્મત અને સમારકામનો કોન્ટ્રાક્ટ અજંતા ગૃપની ઓરેવા કંપનીને આપવામાં આવ્યો હતો અને 2 કરોડના ખર્ચે પૂલની મરમ્મત કરવામાં આવી હતી. આ પૂલને બેસતા વર્ષના દિવસે 26 ઓક્ટોબરે જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ખુલ્લો મુક્યાના પાંચમાં દિવસે 30 ઓક્ટોબરે પૂલ તૂટવાની ગોજારી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 135થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર મામલે બ્રિજની મરમ્મત કરનાર કંપની સામે શંકાની સોય ઉઠી છે.
Published On - 7:24 pm, Tue, 1 November 22