ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. ત્રણ દિવસ માટે નિરીક્ષકો દ્વારા તમામ મહાનગરો અને જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદ શહેરની 8 અને જિલ્લાની બે બેઠક પર આજે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. આજે અમદાવાદ શહેરની મણિનગર, અમરાઈવાડી, ખાડિયા, જમાલપુર-ખાડિયા, એલિસબ્રિજ, બાપુનગર, ઠક્કર બાપા નગર તથા નિકોલ વિધાનસભા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ. તો અમદાવાદ જિલ્લાની વિરમગામ અને સાણંદ બેઠકની સેન્સ લેવાઇ રહી છે. ત્યારે અમદાવાદ વટવા બેઠક ઉપર પ્રદીપસિંહ જાડેજાના નામનો સામુહિક પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.
અમદાવાદ વટવા બેઠક ઉપર પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના નામનો સામુહિક પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. 80 સમર્થકોએ મણિનગર આવકાર હોલ ખાતે નિરીક્ષકોને આ પ્રસ્તાવ આપ્યો છે. પ્રદીપસિંહ જાડેજા સામે વધુ કેટલાક ટિકિટ વાંચ્છુકોએ દાવેદારી નોંધાવી છે. અનિલ પટેલ, પૂર્વ કોર્પોરેટર પારુલ પટેલ, હંસા પટેલ અને રવિ ઠાકોરે દાવેદારી નોંધાવી છે. રાજુ પટેલ, અરવિંદ પટેલ, પ્રકાશ પ્રજાપતિ સહિત 12 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.
આ બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપનું શાસન છે. વટવા વિધાનસભા પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો મતવિસ્તાર છે. 2 ટર્મથી પ્રદીપસિંહ જાડેજા ચૂંટણી જીતી રહ્યાં છે. પાછલી 2 ટર્મથી જીતથી દૂર કોંગ્રેસ 2022માં પરિવર્તન માટે મહેનત કરી રહી છે. તો ભાજપ પણ જીતની પરંપરા જાળવી રાખવા કટિબદ્ધ છે.