બનાસકાંઠાના ધાનેરાથી ભાજપમાંથી ટિકિટ ન મલતા માવજી દેસાઈએ શક્તિપ્રદર્શન સાથે કરી અપક્ષ ઉમેદવારી

બનાસકાંઠાના ધાનેરાથી ભાજપમાંથી ટિકિટ ન મલતા માવજી દેસાઈએ શક્તિપ્રદર્શન સાથે કરી અપક્ષ ઉમેદવારી

| Edited By: | Updated on: Nov 17, 2022 | 8:12 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: બનાસકાંઠાના ધાનેરાથી ભાજપના પૂર્વ ધારાસભ્ય રહેલા માવજી દેસાઈએ વિશાળ રેલી સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપમાંથી ટિકિટ ન મળતા તેમણે આજે જંગી રેલી યોજી હતી અને શક્તિ પ્રદર્શન સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

બનાસકાંઠાની ધાનેરા બેઠક પર આ વખતે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. એક તરફ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર છે તો બીજી તરફ ભાજપથી નારાજ માવજી દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 2017માં ભાજપના ઉમેદવાર માવજી દેસાઈની આ વખતે ટિકિટ કપાતા ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ છે. એટલુ જ નહીં પણ બનાસ ડેરીના પૂર્વ ચેરમેન માવજી દેસાઈએ શક્તિ પ્રદર્શન કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપને પડકાર ફેંક્યો છે. ઉમેદવારી નોંધાવતા પહેલા માવજી દેસાઈએ સભા યોજી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જોકે સભા સંબોધતી વખતે માવજી દેસાઈ ભાવુક થતા પણ જોવા મળ્યા હતા.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: 2017માં માવજી દેસાઈ 2000 મતોથી હાર્યા

આપને જણાવી દઈએ કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં માવજી દેસાઈ ધાનેરાથી ભાજપના ઉમેદવાર હતા અને કોંગ્રેસના નાથાભાઈ પટેલ સામે 2 હજાર મતોથી હારી ગયા હતા. આ વખતે ભાજપે ધાનેરાથી ભગવાનદાસ પટેલને ટિકિટ આપી છે. ખેડૂત અગ્રણી ભગવાનદાસ પટેલ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા પીઠ કાર્યકર્તા રહ્યા છે સાથોસાથ આરએસએસના સ્વયંસેવક તરીકે પણ ભૂમિકા ભજવી છે. તેઓ ધાનેરા એપીએમસીના 15 વર્ષ સુધી ચેરમેન પણ રહી ચુક્યા છે. ખેડૂત આગેવાન ભાજપમાં કિસાન મોરચામાં પણ કામ કરી ચુક્યા છે.

ધાનેરા બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ જીતી રહી છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના નાથાભાઈ પટેલ 82,909 મતોથી જીત્યા હતા. જ્યારે 2012માં કોંગ્રેસના જોઈતાભાઈ પટેલે ભાજપના વસંત પુરોહિતને 19 ટકા મતોથી હરાવ્યા હતા.