BTPના પારિવારિક વિવાદનો અંત, મહેશ વસાવાએ ઝઘડિયા બેઠક પરથી ઉમેદવારી પરત ખેંચી

BTPના પારિવારિક વિવાદનો અંત, મહેશ વસાવાએ ઝઘડિયા બેઠક પરથી ઉમેદવારી પરત ખેંચી

| Edited By: | Updated on: Nov 17, 2022 | 3:35 PM

ભરૂચની ઝઘડિયા બેઠક માટે BTPમાં ચાલી રહેલા પારિવારિક વિવાદનો આખરે અંત આવ્યો છે. છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ અહીંથી ઉમેદવારી પરત ખેંચી છે, હવે આ બેઠક પર છેલ્લી 7 ટર્મથી ધારાસભ્ય રહેલા છોટુ વસાવા જ ચૂંટણી લડશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ટિકિટ માટેની ખેંચતાણ ચરમસીમાએ જોવા મળી. જેમા સૌથી વધુ હાઈવોલ્ટેજ ડ્રામા ભરૂચની ઝઘડિયા બેઠક માટે જોવા મળ્યો. અહીં BTPના છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવા વચ્ચે જ ટિકિટને લઈને જંગ છેડાઈ ગયો અને બંનેએ ઝઘડિયા બેઠક પરથી જ ઉમેદવારી પત્ર ભર્યુ હતુ. ઉપરાંત તેમના નાના પુત્ર દિલિપ વસાવાએ પણ આ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. એક જ પરિવારમાં એક જ બેઠક માટે ત્રિકોણીય જંગ જોવા મળ્યો હતો. જો કે આખરે પિતા-પુત્ર વચ્ચેના આ પારિવારિક મતભેદનો અંત આવ્યો છે અને ઘીના ઠામમાં ઘી પડી ગયુ છે. ઉમેદવારીપત્ર નોંધાવવાના છેલ્લા દિવસે પુત્ર મહેશ વસાવાએ  ઉમેદવારી પરત ખેંચી લીધી છે. હવે આ બેઠક પર છેલ્લી 7 ટર્મથી સતત ચૂંટાતા છોટુ વસાવા જ ચૂંટણી લડશે.

ગુજરાત એસેમ્બલી ઈલેકેશન 2022: પિતા-પુત્રના વિવાદનો સુખદ અંત

અગાઉ આ બેઠક પર મહેશ વસાવાએ છોટુ વસાવાની ટિકિટ કાપી જાતે ઉમેદવારી કરી હતી. જેને લઈને આ બેઠક પર પેંચ ફસાયો હતો. સામે પક્ષે છોટુ વસાવાએ પણ અહીંથી જ ઉમેદવારી કરી હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે BTP અને JDU વચ્ચે પણ ગઠબંધનની પણ અટકળો હતી. જો કે મહેશ વસાવાએ તમામ ખબરોનું ખંડન કર્યુ હતુ. આખરે અન્ય અગ્રણીઓની સમજાવટ બાદ એક બાદ એક ફોર્મ પરત ખેંચાતા ગયા અને હવે માત્ર છોટુ વસાવાનું જ આ બેઠક પરથી ફોર્મ રહ્યુ છે. આ બેઠક ઉપર વિધાનસભા ચૂંટણી 1990 થી છોટુ વસાવા સતત ઉમેરવારી કરતાં આવ્યા છે, ત્યારે આ ચૂંટણીમાં છોટુ વસાવા સતત 8મી વાર ચૂંટણી લડવાના છે.

ઈનપુટ ક્રેડિટ- અંકિત મોદી- ભરૂચ