Chhota Udepur: ત્રીજી લહેરને પહોંચી વળવા સરહદી વિસ્તારમાં હોસ્પિટલ્સ તૈયાર, પણ તબીબોનો જ અભાવ

|

Jan 19, 2022 | 12:32 PM

સરકાર દ્વારા હોસ્પિટલમાં ત્રીજી લહેર માટે ઓક્સિજન બેડ, વેન્ટીલેટર, દવાઓ સહિતની સુવિધા કરાઈ છે. પરંતુ તબીબો વિના આ તમામ સેવા શોભાના ગાંઠિયા સમાન છે.

એક તરફ રાજ્યમાં કોરોના (Corona) કહેર વર્તાયેલો છે. કોરોનાની ત્રીજી લહેર (third wave) શરુ થઈ ગઈ છે. બીજી તરફ સરકાર તમામ તબીબી સેવાઓથી સજ્જ હોવાના દાવા કરે છે. જો કે છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ તબીબો (Doctors)નો અભાવ જોવા મળી રહ્યો છે.

છોટાઉદેપુરના સરહદી વિસ્તારોમાં પહેલી અને બીજી લહેરમાં પણ તબીબો અને ઓક્સિજનના અભાવે દર્દીઓને હાલાકી પડી હતી. છોટાઉદેપુરથી વડોદરાનું 100 કિમીનું અંતર કાપીને દર્દીઓને લઈ જવા પડતા હતા. ત્યારે ત્રીજી લહેરમાં પણ અહીં વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે..

સરકાર દ્વારા હોસ્પિટલમાં ત્રીજી લહેર માટે ઓક્સિજન બેડ, વેન્ટીલેટર, દવાઓ સહિતની સુવિધા કરાઈ છે. પરંતુ તબીબો વિના આ તમામ સેવા શોભાના ગાંઠિયા સમાન છે. અહીંની હોસ્પિટલ્સ પહેલી અને બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ તબીબ વગરની છે. આવી સ્થિતિમાં પણ જિલ્લા કલેક્ટર જલ્દીથી તબીબ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે તેવા દાવા કરી રહ્યા છે અને અહીંના લોકો સારવાર માટે વલખા મારી રહ્યાં છે.

મહત્વનું છે કે ગુજરાતમાં 18 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 17,119 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 10 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 79,600 પર પહોંચી છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 5,998 કેસ નોંધાયા છે તો સુરતમાં પણ 3,563 નવા દર્દી મળ્યા. વડોદરામાં એક જ દિવસમાં કોરોનાના 1,539 નવા મામલા સામે આવ્યા છે.

રાજકોટમાં દૈનિક કેસમાં વધારો થતાં છેલ્લા 24 કલાકમાં 1,336 કેસ નોંધાયા છે. રાજ્યના અન્ય શહેર-જિલ્લામાં નોંધાયેલા કોરોના કેસ પર નજર કરીએ સુરત જિલ્લામાં 423, ગાંધીનગરમાં 409, ભાવનગરમાં 399, મોરબીમાં 318, વલસાડમાં 310, જામનગરમાં 252, મહેસાણામાં 240 કેસ નોંધાયા તો નવસારીમાં 211, ભરૂચમાં 206, કચ્છમાં 175, બનાસકાંઠામાં 163, વડોદરા જિલ્લામાં 131, રાજકોટ જિલ્લામાં 125, પાટણમાં 119, જૂનાગઢમાં 116, ભાવનગર-જામનગર જિલ્લામાં 102-102 કેસ સામે આવ્યા.

આ પણ વાંચોઃ Ahmedabad: માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સતત ઘટાડો, વધુ 29 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા

આ પણ વાંચોઃ Kutch: રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી, કહ્યુ કચ્છવાસીઓની માગ પુરી કરવા પ્રયત્નશીલ

Next Video