વરસાદે વિરામ લેતાની સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે.બેવડી ઋતુના પગલે સુરતમાં પણ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. શરદી, ખાંસી, વાયરલ, ચિકનગુનિયા તેમજ ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.
સુરતના કાપોદ્રામાં શ્રમિક યુવકનું મેલેરિયાની સારવાર દરમિયાન મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. યુવકની તબિયત લથડતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ગત મહિને ડેન્ગ્યૂના 63 અને મેલેરિયાના 91 કેસ નોંધાયા હતા.જેના પગલે અનેક વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમે સર્વે હાથ ધર્યો છે.
બીજી તરફ વડોદરામાં પણ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરાની SSG હોસ્પિટલમાં છેલ્લા 5 દિવસમાં ડેન્ગ્યુના 46 કેસ નોંધાયા છે. 15 દિવસમાં 500થી વધુ વાયરલ ઇન્ફેક્શનના કેસ નોંધાઇ ચૂક્યા છે.SSG હોસ્પિટલના RMOએ પણ અપીલ કરી છે કે સ્વચ્છતા જાળવો અને સાવચેતીથી રહો. તાવની અસર થતા તરત જ યોગ્ય તબીબ પાસે સારવાર કરાવો. આ ઉપરાંત ખેલૈયાઓ ભૂખ્યા પેટે ગરબા ના રમે તેવી પણ અપીલ કરી છે.