ગુજરાતના સોશિયલ મીડિયામાં સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલના જુનાગઢ ભવનાથમાં મૃગીકુંડના સ્નાન મુદ્દે થયેલા વિવાદોનો અંત આવ્યો છે. પોલીસ દ્વારા કીર્તિ પટેલની પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં હાજરી આપ્યા બાદ કીર્તિ પટેલ હવે જેલમુક્ત થઈ છે. કીર્તિ સામેની જુનાગઢમાં નોંધાયેલી ફરિયાદમાં તમામ કાયદાકીય પ્રક્રિયા હાલ પૂર્ણ કરવામાં આવી છે. ફરજમાં રૂકાવટ અને ગેરવર્તનના કેસમાં તેની પૂછપરછ કરાઈ છે.
ખંડણીના કેસમાં કોર્ટ દ્વારા કીર્તિ પટેલને જામીન આપવામાં આવ્યા છે. બે કેસમાં કોર્ટનું સમન મળે ત્યારે કીર્તિને કોર્ટમાં હાજર થવુ પડસે. 20 લાખની ખંડણી કેસમાં કીર્તિને હાલ જામીન મળ્યા છે. તો આ સાથે ગીરસોમનાથના સાધુ દ્વારા કરાયેલા ધાર્મિક લાગણી દુભવવાના કેસમાં પણ કીર્તિને જામીન મળ્યા છે.
આજે કીર્તિને ફરજમાં રૂકાવટ અને પોલીસ સાથે ગેરવર્તનના કેસમાં પૂછપરછ કરાઈ હતી. હવે કીર્તિ પટેલની ધરપકડનો કોઈ મુદ્દો રહ્યો નથી.
ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રી પર્વે મૃગીકુંડમાં સાધુઓની રવેડી બાદ મૃગીકુંડમાં સાધુઓના સ્નાન દરમિયાન કીર્તિ પટેલ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને પરંપરા તોડી હતી. આ ઘટના બાદ જ્યારે વિવાદ વધ્યો તો કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી ઈન્દ્રભારતી બાપુ સામે બેફામ આરોપ લગાવ્યા હતા.