ચોમાસા પહેલાં જૂનાગઢમાં વિવાદ ! મનપાના 10,000 ગટર ચેમ્બર સફાઈના દાવા સામે સ્થાનિકોનો આક્રોશ
જૂનાગઢમાં ચોમાસાની શરૂઆત પહેલાં ગટર સફાઈની કામગીરી મુદ્દે મનપા તંત્ર અને જનતા આમને-સામને આવી ગયા છે. તંત્રનો દાવો છે કે પાણી નહીં ભરાય, જ્યારે સ્થાનિકો દર વર્ષે ઘરોમાં પાણી ઘૂસી જવાની ફરિયાદ કરી રહ્યા છે.
જૂનાગઢ શહેરમાં ચોમાસાની આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી વિવાદના ઘેરામાં આવી ગઈ છે. જૂનાગઢમાં અંદાજિત 35 થી 40 હજાર ગટર ચેમ્બરો આવેલી છે, જેમાંથી ચોમાસા પહેલાં 10,000 ચેમ્બર સાફ કરવાનો મનપાનો ટાર્ગેટ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 6,000 ચેમ્બરો સાફ કરી દેવાઈ છે, જેથી આ વર્ષે વરસાદી પાણી ભરાશે નહીં.
બીજી તરફ, સ્થાનિક નાગરિકોએ તંત્રના આ દાવાઓને પોકળ ગણાવ્યા છે. લોકોનો આરોપ છે કે છેલ્લા 3 વર્ષથી રહેણાંક વિસ્તારોમાં ગટરની સમસ્યાનો કોઈ કાયમી નિકાલ આવ્યો નથી. દર વર્ષે માત્ર ચેમ્બરો સાફ કરીને સંતોષ માની લેવાય છે, પરંતુ વરસાદ પડતાં જ ઘરો સુધી પાણી પહોંચી જાય છે. લોકોની માંગ છે કે પાણીના યોગ્ય નિકાલ માટે મોટા પાઈપ નાખવામાં આવે.
આ મામલે વિરોધ પક્ષ કોંગ્રેસે પણ આક્રમક વલણ અપનાવ્યું છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે વોકળા, તૂટેલા રોડ અને ગટરો હજુ પણ કચરાથી ભરેલી છે. ચોમાસું નજીક હોવા છતાં કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે ગલીઓમાં પાણી ભરાશે અને જનતાને ભારે હાલાકી ભોગવવી પડશે.