જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ, નગર નિયોજકની કચેરીએ કરી ઉગ્ર રજૂઆત
જૂનાગઢના જોષીપુરા વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ અને બેટરમેન્ટ ચાર્જને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રહીશોએ નગર નિયોજકની કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ TP સ્કીમ મધ્યમ વર્ગના પરિવારો પર મોટો આર્થિક બોજ લાદી રહી છે.
જૂનાગઢના જોષીપુરા વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ અને તેના હેઠળ લાદવામાં આવતા બેટરમેન્ટ ચાર્જને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ મુદ્દે જોષીપુરાના અનેક રહીશોએ નગર નિયોજકની કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. આ યોજનાના અમલથી મધ્યમ વર્ગના અનેક લોકોના મકાનો તૂટવાની ભીતિ સેવાઈ રહી છે.
રહીશોએ જણાવ્યું હતું કે, હાલમાં જ લાગુ કરાયેલા બેટરમેન્ટ ચાર્જિસના નામે તંત્ર દ્વારા સામાન્ય નાગરિકો પર મોટો આર્થિક બોજ નાખવામાં આવી રહ્યો છે. આ TP સ્કીમથી મધ્યમ વર્ગના લોકો આર્થિક રીતે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક સ્થાનિક રહીશે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, “જે રસ્તાઓ હાલમાં સાડા ચાર મીટર, સાત મીટર કે નવ મીટરના છે, તેને વધુ પહોળા કરવાની જરૂર શા માટે છે? શું અહીંયા બુલેટ ટ્રેનો દોડાવવી છે? અમને એ સમજાતું નથી કે રોડ કેટલા પહોળા જોઈએ. શું ખાલી રોડ જ જોઈએ છે કે જ્યાં અત્યારે હાલમાં રહેણાંક વિસ્તારમાં જે રહીશો રહે છે, ઈ જોઈએ છીએ?” તેઓએ સવાલ ઉઠાવ્યો હતો કે શું શહેરમાં માત્ર રોડ-રસ્તાનું જ મહત્વ છે કે ત્યાં વસતા લોકોનું પણ મહત્વ છે.
રહીશોનો દાવો છે કે સરકારે આ TP સ્કીમ, ખાસ કરીને TP સ્કીમ નંબર છ, અંગે ફરીથી વિચારણા કરવી જોઈએ. તેઓએ આક્ષેપ કર્યો હતો કે આ યોજના માટે કોઈ પણ જાતનો યોગ્ય સર્વે કરવામાં આવ્યો નથી. TP સ્કીમમાં જે વેલ્યુએશનને ડબલ કરી દેવામાં આવ્યા છે, તેનો આધાર શું છે તે અંગે TPO (ટાઉન પ્લાનિંગ ઓફિસર) પાસે પણ કોઈ સ્પષ્ટ જવાબ નથી.
જોષીપુરાના રહીશોની મુખ્ય માંગ છે કે TP સ્કીમના કારણે સર્જાતી મુશ્કેલીઓ અને મધ્યમ વર્ગ પર આવી રહેલા આર્થિક બોજ અંગે તંત્ર દ્વારા સકારાત્મક અને યોગ્ય નિર્ણય લેવામાં આવે. જો જોષીપુરા વિસ્તારના રહીશોના હિતમાં નિર્ણય નહીં લેવાય અને તેમની માગ નહીં સ્વીકારવામાં આવે તોઆગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
