જામનગરમાં પાણીની સમસ્યા બની વધુ વિકરાળ, બેડી વિસ્તાર અને માધાપર ભુંગામાં અપૂરતા પાણી વિતરણથી સ્થાનિકો ત્રાહિમામ

જામનગર શહેરમાં પાણીની સમસ્યા દિવસે દિવસે વધુ વિકરાળ બની રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પૂરતુ પાણી ન આવતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જે પાણી આવે છે તે પણ પીવાલાયક ન હોવાથી લોકો મોંઘા ભાવે બહારથી વેચાતુ પાણી લેવા મજબુર બન્યા છે.

જામનગરમાં પાણીની સમસ્યા બની વધુ વિકરાળ, બેડી વિસ્તાર અને માધાપર ભુંગામાં અપૂરતા પાણી વિતરણથી સ્થાનિકો ત્રાહિમામ
| Edited By: | Updated on: Jun 22, 2026 | 2:13 PM

જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીના અભાવે લોકોનું જીવન દુષ્કર બન્યું છે..જામનગર મહાનગર તો છે પરંતુ આ શહેરના છેવાડાના વિસ્તારો હજુ પણ ગામડાઓથી પણ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આ સમસ્યા અહીં આજકાલની નહિ પરંતુ છેલ્લા ઘણા સમયથી છે…વાત કરીએ જામનગર શહેરના વોર્ડ નં.1ની બેડી વિસ્તાર અને માધાપર ભુંગા વિસ્તારમાં વર્ષોથી પાણીની સમસ્યા છે. સ્થાનિકો અપૂરતું પાણી મળે છે એટલે જ નહીં પણ જે પાણીનું વિતરણ થાય છે એ પાણી પણ પીવાલાયક ન હોવાનો સ્થાનિકોનો દાવો છે. સ્થાનિકોનો દાવો છે કે માત્ર 10 મિનિટ પુરતુ પાણી આપવામાં આવે છે. આટલા ઓછા સમયમાં ઘરની જરૂરિયાત પૂર્ણ થાય તેટલો પાણીનો જથ્થો મળતો નથી.

વોર્ડ નંબર 1માં 8 હજાર કરતા વધુ લોકોની વસતી છે. અહીં આસપાસ દરિયો છે એટલે કે બોરમાં પણ ખારું પાણી લોકોને મળે છે. મહાનગરપાલિકા દ્વારા અહીંના કેટલાક વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ ટેન્કર ક્યારે આવે અને કેટલા દિવસે આવે તેનું કાઈ નક્કી નથી થતું એટલે કે શહેરના આવા અનેક વિસ્તારોમાં મનપા પાણીની પાઇપલાઇન પહોંચાડી નથી શકી. લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. મહિલાઓને બહારથી વેચાતુ પાણી લેવું પડે છે. સ્થાનિકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી પરંતુ લોકોને માત્ર આશ્વાસન જ મળ્યું છે.

પાણીની સમસ્યાને લઈને વોર્ડ નંબર 1ના ભાજપના સ્થાનિક આગેવાન પણ સવાલ ઉઠાવી રહ્યા છે..ખુદ ભાજપના જ આગેવાને ભાજપ શાષિત મનપા તંત્ર સામે પાણી મુદ્દે સવાલ ઉઠાવ્યા. પાણી માટે વલખા મારતી પ્રજાને જો વહેલી તકે પાણી આપવામાં નહીં આવે તો બેડા સરઘસ કાઢવાની લોકોએ ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ મનપાના વોટર વર્કસના અધિકારીનો દાવો છે કે હાલ નર્મદાનું પાણી મળી રહેતા બેડી વિસ્તારમાં સમયસર, પૂરતું અને શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે.

Input Credit- Divyesh Vayeda- Jamnagar

દેશભરમાં યોજાઈ NEET ની રિએક્ઝામ, વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે શિક્ષણ જગત અને NTA ની પણ અગ્નિપરીક્ષા

Published On - 8:04 pm, Sun, 21 June 26

Follow Us