જુનાગઢમાં અનરાધાર વરસાદથી અનેક તાલુકામાં સર્જાઈ તારાજી, નેશનલ હાઈવેનો પાળો તૂટતા ખેતરો પાણી-પાણી

|

Jul 19, 2024 | 5:06 PM

જુનાગઢમાં અનારાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ઘેડ પંથકના મોટાભાગના ગામોનો સંપર્ક તૂટી ગયો છે. વંથલીમાં 24 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકી જતા ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. રેલવે સ્ટેશન અને મજેવડી દરવાજા વચ્ચેનો મુખ્ય માર્ગ જળમગ્ન બન્યો છએ. નેશનલ હાઈવેનો પાળો તૂટી જતા ખેતરો જળમગ્ન બન્યા છે.

જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. માળિયા હાટીના તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકતા મેઘલ નદી ગાંડીતૂર થઈ હોય તેવાં દૃશ્યો સામે આવ્યા. બીજી તરફ ભાખરવડી ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા હતા. આ તરફ ધોધમાર વરસાદથી “વધાવી” ગામનો સંપર્ક કપાઈ ગયો. નેશનલ હાઈવેના પાળા તૂટતા ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. કેશોદ તાલુકાના માણેકવાડા ગામે પણ ભારે વરસાદ વરસ્યો હતો. મંદિરો પણ જળમગ્ન બન્યા હોય તેવાં દૃશ્યો સામે આવ્યા. આ તરફ જુનાગઢ શહેરમાં પણ જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણીના દૃશ્યો જોવા મળ્યા. રસ્તાઓ એવાં ભાસી રહ્યા હતા કે જાણે નદીઓ વહી રહી હોય. તો ફરી એકવાર ઘેડ પંથક વરસાદી પાણીમાં ડૂબ્યું હોય તેવાં દૃશ્યો સર્જાયા. અખોદર ગામે લોકો હોડી લઈને ગામમાં ફરતા જોવા મળ્યા.

જુનાગઢ જિલ્લાના ઘેડ, કેશોદ, વંથલી, માંગરોળ, માણાવદરમાં મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી. કેશોદના બાલાગામ, ઓસા, જોનપુર, મંગલપુર, સીતાના, ભીતાના સહિતના ગામો બેટમાં ફેરવાયા હતા. માણાવદર સરાડીયા, કેશોદ, માંગરોળ સહિતના અનેક રોડ પ્રભાવિત થયા હતા. વંથલી, કેશોદ, માણાવદર, માંગરોળ અને ભેંસાણના અનેક રસ્તાઓ ખોરવાયા છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો છે. ફરી એકવાર ઘેડ સહિતના વિસ્તારોના ગામડા સંપર્ક વિહોણા બન્યા છે. પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર ન થવા માટે વહીવટીતંત્ર દ્વારા તાકીદ કરાઈ છે.

ઘેડ પંથકના મોટાભાગના ગામોનો સંપર્ક તૂટી ગયો છે. વંથલીમાં 24 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. કેશોદ માંગરોળ રસ્તા પર પાણી ફરી વળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે સ્ટેશન અને મજેવડી દરવાજા વચ્ચેના મુખ્ય માર્ગ જળમગ્ન બન્યા છે.

જુનાગઢ અવિરત વરસાદ થતા કાળવા ચોક નજીક આવેલો વોકળો ગાંડોતૂર થયો છે. ગત વર્ષે કાળવા વોકળામાં પાણી આવતા જળબંબાકાર થયુ હતુ. હાલ પણ કાળવામાં વધુ પાણી વધી શકે તેવી શક્યતા છે. ગિરનાર જંગલમાં વધુ વરસાદ પડતા કાળવાના વોકળા પર પાણી ભરાયા છે. નરસિંહ મહેતા સરોવરમાં નવા નીરની આવક થઈ છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:06 pm, Fri, 19 July 24

Next Video