રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યાં અમરેલીના રાજુલાના બાબરીયાધાર ખારી સહિત ગામડામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ ખાબકવાથી પુરની સ્થિતિ સર્જાઈ રહી છે. ભારે વરસાદના કારણે બાબરીધાર ગામની નવલખી નદીમાં ધસમસતું પૂર આવવાના કારણે બાબરીધાર ગામ આસપાસ ખેતરોમાં પાણી ભરાયા છે. તેમજ ખારી ગામનો ચેકડેમ છલકાયો છે. રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો : Rajkot: ભુગર્ભ ગટરમાં શ્રમિકના મોત અંગે રાષ્ટ્રીય સફાઇ આયોગના વેધક સવાલ, પૂછ્યું શું મનપાની કોઇ જવાબદારી નહિ ?
આ અગાઉ રાજકોટ શહેરમાં 45 મિનિટમાં પોણા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તો બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં બીજીવાર ખેડૂતોની જણસી પર પાણી ફરી વળ્યું હતુ. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યુ છે. તો રાજકોટ જિલ્લામાં લોધિકા, ધોરાજી, જેતપુર સહિતના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા.
આ તરફ ધોરાજી પંથકમાં પણ કમોસમી વરસાદે તારાજી સર્જી છે. ભારે પવન અને કમોસમી વરસાદને કારણે રવિ પાકને ભારે નુકસાન થયું છે.ધોરાજી પંથકમાં માવઠાને કારણે ઘઉંના તૈયાર પાકને નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિને કારણે કપાસ અને મગફળીનું તૈયાર પાક ધોવાઈ ગયો હતો.બાદમાં ખેડૂતોએ સારા ભાવની આશાએ ચણા, જીરું, ઘાણા, ઘઉં, ડુંગળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું પણ પાક તૈયાર થઈ ગયો અને લણવાનો સમય આવ્યો ત્યારે ભારે પવન ફુંકાવવાને કારણે પાક ઢળી પડ્યો અને ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. જેથી ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું વળતર આપવા માગ કરી છે.
Published On - 7:24 am, Fri, 24 March 23