છોટાઉદેપુર નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે નગરવાસીઓ શુદ્ધ પીવાના પાણીથી વંચિત છે. નગરમાં 35 હજારથી વધુ વસ્તી માટે બે વોટર વર્ક્સ કાર્યરત છે અને વારીગૃહ ખાતે ફેબ્રુઆરી 2022માં રૂપિયા 84.88 લાખના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી પ્લાન્ટ નિયમિત ન ચાલતો હોવાની અને વિસ્તારમાં હડોળું પાણી આવતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
આજે પણ છોટાઉદેપરુમાં જૂની પદ્ધતિ પ્રમાણે નદીમાંથી સીધું જ પાણી લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. સ્થાનિકોનું માનીએ તો પહેલા તો નદીમાં રેતી હતી ત્યારે પાણી ચોખ્ખું આવતું હતું ,પરંતુ રેતીનું ખનન થયા બાદ લોકો પ્રદૂષિત અને ડહોળું પાણી વાપરવા મજબૂર બન્યા છે.
બીજા શબ્દોમાં કહીએ તો નગરપાલિકામાં સરકારે 84.88 લાખના ખર્ચે વોટર ફિલ્ટર પ્લાન્ટ તો બનાવવામાં આવ્યો છે, પરંતુ તે શોભાના ગાંઠીયા સમાન છે, કારણ કે પ્લાન્ટને યોગ્ય રીતે ચલાવી શકે તેવો કોઈ ઓપરેટર નથી મળ્યો. વારીગૃહના પૂર્વ ચેરમેને પણ સ્વીકાર્યું છે કે શહેરીજનોને પીવાના પાણીનું યોગ્ય રીતે વિતરણ કરવામાં આવતું નથી.
તો સમગ્ર મામલે નગરપાલિકા ચીફ ઓફિસર નગરજનોને શુદ્ધ પાણી અપાતું હોવાનો દાવો કરે છે. લાગે છે કે અધિકારી શહેરીજનોની મુશ્કેલીઓથી પરિચિત નથી. જો કે પ્લાન્ટ નિયમિત ન ચાલતો હોવાની કબૂલાત પણ અધિકારીએ કરી. સાથે જ ટેક્નિકલ સ્ટાફની ભરતી થતાની સાથે જ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે શુદ્ધ પાણી આપવાની ખાતરી પણ ચીફ ઓફિસરે આપી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…