ગુજરાતના મોરબીના ઝૂલતા બ્રીજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલના સમર્થનમાં સિદસર ઉમિયાધામ ટ્રસ્ટ આવ્યું છે. આ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર જયસુખ પટેલે સામાજિક ફરજના ભાગરૂપે આ ઝૂલતા બ્રિજનું સંચાલન સંભાળ્યું હતું કે નહિ કે નફો કમાવવા માટે. તેમજ એક સમાજ સેવકને મદદ કરવાની કરી અપીલ કરી છે. જેમાં ઉમિયાધામે પોતાના લેટર પેડ પર આ સંદેશો મોકલ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જયસુખ પટેલના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. સરકારી વકીલે પણ જયસુખ પટેલના વિરૂદ્ધમાં ધારદાર દલીલો કરી હતી.
વર્ષ 2020માં ઓરેવા કંપનીએ કલેકટરને એક લેટર લખીને કહ્યું હતું કે આ પુલની પરિસ્થિતિ ઘણી ગંભીર છે અને અકસ્માતે તૂટી શકે તેમ છે. ત્યારબાદ કોઈપણ પત્ર વ્યવહાર કર્યા વગર કોન્ટ્રાક્ટ રિન્યુ ન થયો હોવા છતાં ઓરેવા ગ્રૃપે મેન્ટેનન્સનું કામ ચાલુ રાખ્યું હતું. મેન્ટેનન્સમાં પણ કેબલ તારને બદલવામાં આવ્યા ન હતા. તો બીજી તરફ પુલ પર એક સમયે 100 કરતા વધુ લોકો જાય તો જોખમી હોવાનું જયસુખ પટેલને ખબર જ હતી. છતાં બ્રીજ તૂટ્યો ત્યારે 400 થી 500 લોકો બ્રીજ પર હતા
આ પૂર્વે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 88 દિવસ બાદ ઓરેવા ગ્રુપના MD જયસુખ પર કાયદાનો સકંજો કસાયો હતો.135 લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું.મોરબી પોલીસે આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા.અત્યાર સુધી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં કુલ 9 લોકોને આરોપી બનાવાયા હતા.
જો કે ઘટનાના 3 મહિના એટલે કે બરોબર 88 દિવસ પછી જયસુખ પટેલ સામે કાયદાનો સકંજો કસાયો છે. પોલીસે ચાર્જશીટમાં જયસુખને 10માં આરોપી તરીકે દર્શાવ્યો છે.મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી તમામ 9 આરોપીઓની પોલીસ ધરપકડ કરી ચૂકી છે.જોકે જયસુખ પટેલે આજે કોર્ટમાં આત્મ સમર્પણ કર્યું હતું.
આ પણ વાંચો : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાની અરજીઓ હવે ઓફલાઇન પણ સ્વીકારાશે
Published On - 10:30 pm, Fri, 3 February 23