મોરબીના કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં મૃતકોના પરિજનોને વચગાળાનું વળતર મળે તેવી શક્યતા જોવાઈ રહી છે. ગુજરાત હાઇકોર્ટે આ અંગે પ્રાથમિક સંકેત આપ્યા છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબનું વળતર ચૂકવવા અંગે કોર્ટ જરૂરી હુકમ કરી શકે છે. ઓરેવા કંપનીએ દર્શાવેલી તૈયારી કરતા ઘણુ વધુ વળતર વચગાળાના વળતર તરીકે ચૂકવવું પડશે. ભોપાલ ગેસ કાંડ અને દિલ્લી ઉપહારકાંડના વળતર અંગેનો ચુકાદો કોર્ટમાં રજૂ કરાયો હતો. આવતીકાલે કોર્ટ આ અંગે ચુકાદો આપી શકે છે. મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં સરકાર દ્વારા પીડિત પરિવારોને યોગ્ય વળતર ન આપતા પીડિત પરિવારોએ નારાજગી વ્યક્ત કરી હતી.
22 ફેબ્રુઆરી 2023 (બુધવારે) ઓરેવા કંપનીના વકીલ દ્વારા કોર્ટને તેમના ક્લાયન્ટ પાસેથી ઈન્સ્ટ્રક્શન લઈને તે જણાવશે કે કેટલુ વચગાળાનુ વળતર તે આપી શકે તેમ છે અને વળતર આપ્યા પછી પણ તે કોઈપણ ક્રિમીનલ કે સિવિલ લાયેબિલીટીમાંથી બચી નહીં શકે તેમ પીડિતો તરફથી કેસ લડી રહેલા એડવોકેટ ઉત્કર્ષ દવેએ જણાવ્યુ હતુ. આ અંગેની સ્પષ્ટતા અગાઉ જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા બાય બિફોર જ્યુડિશ્યલ ઓર્ડરમાં કરવામાં આવેલી છે.
આ પણ વાંચો: મોરબી બ્રિજ દુર્ઘટના મામલે જયસુખ પટેલને જેલ હવાલે, પોલીસે વધુ રિમાન્ડ ન માગ્યા
બ્રિજ હોનારત મુદ્દે ઓરેવા ગ્રૃપે મૃતકોના પરિવારને 3.5 લાખ રૂપિયા વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી છે તેમજ ઇજાગ્રસ્તને 1 લાખ એડ હોક વળતર ચુકવવા અંગેની તૈયારી દર્શાવી છે. જેને લઈને કોર્ટે પુછ્યુ કે શું આ વળતર પુરતુ અને વ્યાજબી લાગે છે? કોર્ટે સ્પષ્ટ કહ્યુ કે આ રકમ વ્યાજબી લાગતી નથી. કોર્ટ મિત્રએ કહ્યું કે, અસરગ્રસ્તોને વધુ વળતર મળવું જોઇએ. ગુજરાત હાઇકોર્ટ કહ્યું કે, કંપનીની જવાબદારી 55 ટકા નક્કી થાય,આ સુપ્રીમકોર્ટનું અવલોકન છે. કોર્ટ મિત્ર કહ્યું કે, સુપ્રીમકોર્ટના અવલોકન થિયરી અને ગાઇડલાઇન પ્રમાણે દરેક મૃતકના પરિવારજનોને 12.5 લાખ રૂપિયા ચૂકવવા પડે.