Gujarati Video : અંકલેશ્વરમાં શાળાના બાળકોનો જીવ જોખમમાં મુકાયો, પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી, જાણો સમગ્ર મામલો

|

Jul 15, 2023 | 8:42 AM

 ભરૂચ જિલ્લામાં સ્ટંટબાજી કરવામાં પોતાના અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકવાના 24 કલાકમાં બે અલગ - અલગ બનાવ સામે આવતા જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક ભરૂચ જિલ્લા  પોલીસ(Bharuch Police) આ મામલાઓને લઈ સતર્ક બની છે.

ભરૂચ જિલ્લામાં સ્ટંટબાજી કરવામાં પોતાના અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકવાના 24 કલાકમાં બે અલગ – અલગ બનાવ સામે આવતા જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક ભરૂચ જિલ્લા  પોલીસ(Bharuch Police) આ મામલાઓને લઈ સતર્ક બની છે. વાતને એ હદે ગંભીરતાથી લેવાઈ કે જિલ્લામાં ટ્રાફિક માટે ઝુંબેશ હાથ ધરી નાખવામાં આવી હતી. શુક્રવારે સાંજે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકનાર એક સ્કૂલવાન(School Van) સંચાલકની ધરપકડ કરવામાં આવી છે.

શાળાના બાળકોના જીવ જોખમમાં મુકાયા

આ મહાશયનું કારસ્તાન જાણી બાળકોને સ્કૂલ વાનમાં શાળાએ ભણવા મોકલતા વાલીઓના જીવ અધ્ધર થયા હતા. અંકલેશ્વરમાં સ્કૂલવાન ચલાવતા ઈશ્વરભાઈ પટેલે બપોરના સમયે અંકલેશ્વરમાં પુરપાટ ઝડપે રોગ સાઈડ ઉપર વાહન હંકાર્યું હતું. વાત આટલેથી અટકી ન હતી પણ આ લાપરવાહ વાન સંચાલકે બાળકો વાનમાં બેઠા હોવા છતાં વનના દરવાજા પણ ખુલ્લા રાખ્યા હતા. એક જાગૃત નાગરિકે બાળકોનો જીવ જોખમમાં મુકતો આ વિડીયો રેકોર્ડ કરી વાયરલ કર્યો હતો.

પોલીસે સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટિલના ધ્યાને આખો મામલો આવતા તાત્કાલિક જિલ્લા પોલીસને આ વાન સંચાલકને શોધી કાઢી બાળકોના જીવ જોખમમાં મુકવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી યુ ગાડરિયાએ તાત્કાલિક ટીમને આ કામગીરી સોંપી ગણતરીના સમયમાં લાપરવાહ વાન ચાલકને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઈશ્વરભાઈ પટેલ નામના લાપરવાહ સ્કૂલવાન સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વ્યક્તિ સામે અટકાયતી પગલાં ભરી તેની ધરપકડ કરી ભવિષ્યમાં ક્યારેય આવી ભૂલનું પુનરાવર્તન નહીં કરાય તેની ખાતરી લેવાઈ હતી.

Published On - 8:31 am, Sat, 15 July 23

Next Video