Ahmedabad : લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ફાસ્ટફૂડના એકમો સામે AMCના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અખાદ્ય ખોરાક મળી આવતાં ન્યૂ રાયપુર ભજીયા હાઉસ, કર્ણાવતી દાબેલી સહિત 13 એકમો સીલ કરીને દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદમાં ફૂડ વિભાગે જુદા-જુદા વિસ્તારોમાં હોટલો, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના વેચાણ કરતા એકમો પર દરોડા પાડ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad : અસલાલીમાં ખેતરમાંથી મળેલા મહિલાના મૃતદેહનું ઘૂંટાતું રહસ્ય, પોલીસે તપાસ શરૂ કરી
જેમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજો, ગંદકી, બળેલા તેલનું વધુ પ્રમાણ, શુદ્ધ પીવાલાયક પાણીનો અભાવ અને સબ સ્ટાન્ડર્ડ ખોરાક મળતાં 13 એકમ સીલ કરાયા છે. સાથે 486 કિલો બિનઆરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરાયો છે અને રૂપિયા 10 હજાર દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
જે એકમો સીલ કરવામાં આવ્યા છે તેમાં સારંગપુર દરવાજા પાસે આવેલ ન્યુ રાયપુર ભજીયા હાઉસ, હાટકેશ્વર સર્કલ પાસે રાજેશ દાળવડા, નાગર દાળવડા, લૉ ગાર્ડન પાસે ઈટાલીયોઝ પીઝા, નવરંગપુરામાં જયભવાની છોલેભટુરે, બાપુનગરમાં આશાપુરા ભોજનાલય, સરસપુરમાં અંબિકા ભાજીપાઉ, નારોલ સર્કલ ઓફિસ પાછળ અર્બુદા ચવાણા એન્ડ સ્વીટમાર્ટ, નારોલ કોર્ટ પાસે આંબેશ્વર ચવાણા એન્ડ સ્વીટમાર્ટ, ચાંદલોડિયામાં ક્રિષ્ના ફૂડ સેન્ટર, એસજી હાઈવે પર આશાપુરા ભોજનાલય, બાલાજી ચાઈનીઝ ફૂડ અને સરખેજ ગામમાં કર્ણાવતી દાબેલીનો સમાવેશ થાય છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો