ગુજરાતમાં આ વર્ષે પીવાના પાણીની સમસ્યા નહીં રહે, સાર્વત્રિક વરસાદથી અનેક જળાશયો છલકાયા

|

Aug 17, 2022 | 3:09 PM

નર્મદાના સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) પાણીની આવક 6 લાખ 54 હજાર 680 ક્યુસેક નોંધાઈ છે. તો ઉકાઇ ડેમ (Ukai Dam) અને ધરોઇ ડેમમાં પણ નવા નીર આવ્યા છે.

રાજ્યમાં સારા વરસાદના (Rain) કારણે લોકોને મુશ્કેલી તો છે. પરંતુ પાણીની સમસ્યા હલ થઇ જશે. કારણ કે, રાજ્યના ઘણા ડેમમાં પાણીની આવક વધી છે. નર્મદાના સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) પાણીની આવક 6 લાખ 54 હજાર 680 ક્યુસેક નોંધાઈ છે. તો ઉકાઇ ડેમ (Ukai Dam) અને ધરોઇ ડેમમાં પણ નવા નીર આવ્યા છે. તે જ રીતે ભાદર ડેમ, મેશ્વો જળાશય પણ ભરાવા આવ્યા છે. તો મોક્તેશ્વર અને હસનાપુર ડેમ પણ છલોછલ થઇ ગયા છે. તો દાંડીવાડા ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે.

ઉત્તર ગુજરાતની જીવાદોરી સાબરમતી નદી (Sabarmati River) પર આવેલા ધરોઈ ડેમ (Dharoi Dam) માં પણ છેલ્લા ચોવીસ કલાકથી પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે. સોમવાર મધ્યરાત્રીથી થઈ રહેલી પાણીની આવક ડેમની સપાટી સતત વધવા લાગી હતી. ધરોઈ ડેમ હવે તેની ભય જનક સપાટીથી નજીક છે. જેના પગલે ધરોઈ ડેમના 4 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા છે. દર કલાકે 80 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. દર કલાકે ધરોઈ ડેમમાંથી 17 હજાર 950 ક્યૂસેક પાણી છોડાઇ રહ્યુ છે. તો ધરોઈ ડેમની જળ સપાટી 618.27 ફૂટ પર પહોંચી છે.

ગુજરાતની જીવાદોરી નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટી 134.35 મીટર પર પહોંચી છે. ડેમમાં 6 લાખ 24 હજાર 418 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 5 લાખ 63 હજાર 324 ક્યુસેક પાણીની ડેમમાંથી જાવક થઈ રહી છે. ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલી 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇનથી 44 હજાર 532 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,792 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે.

જૂનાગઢનો સૌથી મોટો હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા બે દિવસથી ગિરનાર જંગલમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જૂનાગડ શહેરને પાણી પૂરું પાડતો હસનાપુર ડેમ છલોછલ થઈ ગયો છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વહીવટી તંત્રએ ગલીયાવાડ, સાબલપુર, સરગવાળા, બામણગામ અને દેરવાણ સહિતના ગામોને એલર્ટ કરાયા છે.

બનાસકાંઠામાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બાલારામ અને વિશ્વેશ્વર નદીમાં પાણીની આવક વધતા ડેમમાં નવા નીર આવ્યા છે. દાંતીવાડામાં 83 હજાર ક્યુસેક પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તાપીના ઉકાઇ ડેમમાં સતત પાણીની આવક થઇ રહી છે. ઉપરવાસમાંથી 1 લાખ 14 હજાર ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. ઉકાઇ ડેમના છ દરવાજા ખોલી 84 હજાર ક્યૂસેક પાણી છોડાઇ રહ્યુ છે. હાલ ડેમની સપાટી 335.51 ફૂટ પર પહોંચી છે. ડેમની જળસપાટી ભયજનક સપાટીથી સાડા નવ ફૂટ દૂર છે.

Next Video