ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવ્યા છે. આજે પીએમ મોદીએ તેમના માતા હિરાબાને મળવા પહોંચ્યા હતા. માતાને મળ્યા બાદ પીએમ મોદી સીધા કમલમ પહોંચ્યા હતા. બીજા તબક્કાના મતદાન પહેલા કમલમમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત ભાજપના પ્રભારી રત્નાકર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ભાજપના ટોચના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા. પીએમ મોદીની ઉપસ્થિતિમાં બીજા તબક્કાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન કરવામાં આવ્યુ હતુ.
કમલમમાં બેઠક બાદ વડાપ્રધાન મોદી રાજભવન જવા રવાના થયા હતા. રાજભવનમાં જ તેઓ રાત્રિ રોકાણ કરશે. આવતીકાલે પીએમ મોદી સવારે 8.30 વાગ્યે રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કરશે. જેને લઈને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સવારે વડાપ્રધાનના પ્રોટોકોલ મુજબ SPG અને અમાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે અમદાવાદ શહેરની 16 બેઠકો અને મતદાન થવાનું છે તો ગુજરાતની કુલ 182 વિધાનસભા બેઠકો પૈકી 93 બેઠકો પર મતદાન થશે. જેમાં અનેક દિગ્ગજોની કિસ્મત દાંવ પર લાગેલી છે. આવતીકાલે અનેક દિગ્ગજો તેમનો લોકશાહીના મહાપર્વમાં તેમનો મત આપશે. જેમા પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મતદાન કરશે.
Published On - 9:44 pm, Sun, 4 December 22