પાલિતાણાના શેત્રુંજય મહાતીર્થ બચાવવાની માગ સાથે જૈન સમાજની ઠેર ઠેર રેલી યોજાઈ રહી છે. સુરત, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં જૈન સમાજ દ્વારા પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. ત્યારે વધતા આક્રોશને પગલે પાલીતાણા ગિરિરાજ શેત્રુંજયની સુરક્ષા માટે, સરકારે સ્પેશિયલ પોલીસ ટીમ બનાવાઈ છે.
શેત્રુંજય પર્વતની સુરક્ષા માટે તળેટી ખાતે સ્પેશિયલ ટીમ તૈનાત કરાઇ. જેમાં 1 PSI, 2 ASI, 3 હેડ કોન્સ્ટેબલ, 12 કોન્સ્ટેબલ ખડેપગે રહેશે. તો સાથે ટ્રાફિક નિયમન માટે 5 ટ્રાફિક પોલીસ, 5 મહિલા હોમગાર્ડ્સ, અને 8 TRB જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત સ્પેશિયલ ટીમ DYSP કક્ષાના અધિકારીની સીધી દેખરેખમાં રહેશે. આ ટીમ પાલીતાણા પર્વતની સુરક્ષા સાથે તળેટી ખાતે દબાણ, માલસામાનની સલામતી અને ટ્રાફિકનું નિયમન કરશે.
શેત્રુંજય મહાતીર્થ પર તોડફોડ બાદ સમગ્ર દેશમાં જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે રાજકોટમાં પણ જૈન સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજકોટના ચૌધરી હાઇસ્કૂલના દેરાસરથી રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. એટલુ જ નહીં જૈન સમાજના એક વ્યક્તિ દ્વારા રસ્તા પર આળોટીને વિરોધ દર્શાવવામાં આવ્યો.
Published On - 8:15 am, Tue, 3 January 23