રાજકોટના ધોરાજી તાલુકામાં વારંવારની રસ્તાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હાલ રેલવ બ્રિજ પર બની રહેલા ઓવરબ્રિજને કારણે તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે પરંતુ સૌથી મોટી બેદરકારી તો એ છે કે ડાયવર્ઝન માટેનું બોર્ડ જ લગાવવાનું તંત્ર ભૂલી ગયુ છે.
ધોરાજી ખાતે જુનાગઢ રોડ પર નવા રેલવે ઓવરબ્રિજના નિર્માણને કારણે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગ બંધ થતાં વધારાના ડાયવર્ઝન અપાયા છે, પરંતુ આ માર્ગ કાચા અને અનફિનિશ્ડ હોવાથી વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે ડાયવર્ઝન માટે કોઈ સ્પષ્ટ બોર્ડ કે માર્ગદર્શિકા મૂકવામાં આવી નથી, જેના કારણે વાહન ચાલકો ફોગટ ફેરા મારવા મજબૂર બને છે. કેટલાક વિસ્તારોમાં રોડ પર અચાનક ડાયવર્ઝન આવી જાય છે, જે અકસ્માતોને આમંત્રણ આપી શકે છે.
કાચા રસ્તા પર ડાયવર્ઝન અપાતા વાહનચાલકો અને સ્થાનિકોને ધૂળની સમસ્યા વધી ગઈ છે. ધૂળને કારણે વાહનચાલકોન ભારે હાલાકી ભોગવવી પડે છે અને રાહદારોની આંખમાં અને શ્વાસમાં ધૂળ જતા આરોગ્ય પ્રત્યે પણ જોખમ ઉભું થયું છે. આ સમસ્યાને લઈને સ્થાનિકોએ માટી નાખી રસ્તો જ બંધ કરી દીધો છે અને સરકાર સમક્ષ પાકો સર્વિસ રોડ બનાવવાની માગ કરી છે.
વાહનચાલકો અને સ્થાનિકો આ મુદ્દે સત્તાધીશોનો સંપર્ક કરી રહ્યા છે. તેમની માગ છે કે ડાયવર્ઝન માટે કાચા રસ્તા બદલ પક્કો સર્વિસ રોડ બનાવવો જોઈએ, જેથી વાહનચાલકો અને રાહદારીઓ બંનેને રાહત મળે. આગામી દિવસોમાં જો તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે તે નક્કી છે.
With Input- Hussain Kureshi- Dhoraji