ધરોઈ ડેમને લઈને સારા સમાચાર છે કે, ડેમ 92.79 ટકા ભરાઈ ચૂક્યો છે. ધરોઈ ડેમ મહત્તમ સપાટી નજીક પહોંચવાને લઈ હવે મોટી રાહત સર્જાઈ છે. ધરોઈ ડેમમાં પાણીની આવક મધ્યરાત્રી દરમિયાનથી નોંધપાત્ર થઈ હતી. જેને લઈ ધરોઈ ડેમમાં પાણીની આવક 28 હજાર ક્યુસેક કરતા વધારે નોંધાઈ હતી. આવક વધવાને લઈ ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં એટલુ જ પાણી દિવસ દરમિયાન છોડવામાં આવ્યુ હતુ. આમ સાબરમતી નદીમાં 28 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ.
ડેમના 4 દરવાજાના પાંચેક ફુટ જેટલા ખોલવામાં આવ્યા હતા. ડેમની જળસપાટી 620 ફુટ કરતા વધારે નોંધાઈ છે. સંપૂર્ણ જળસપાટી 622 ફુટ છે અને હવે ધીમે ધીમે જળસપાટી તેની નજીક પહોંચવા તરફ આગળ વધી રહી છે. ઉપરવાસમાં વરસાદને લઈ સાબરમતી નદી અને તેને જોડતી ઉપનદીઓમાં પણ પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. આમ ધરોઈ ડેમમાં જળસંગ્રહમાં વધારો થયો હતો. ધરોઈની સ્થિતિને લઈ હવે સિંચાઈ અને પિવાના પાણીને લઈ ઉત્તર ગુજરાતમાં મોટી રાહત સર્જાઈ છે. સંતસરોવરના દરવાજા પણ પાણીની આકના પગલે ખોલવામાં આવ્યા હતા.