Navratri 2023 : પ્રથમ નોરતે ગુજરાતના 9 મોટા મંદિરોમાં ઉમટી પડ્યા શ્રદ્ધાળુ, 12 લાખ શ્રદ્ધાળુએ કર્યા દર્શન
પ્રથમ નોરતે મા જગદંબાના જય-જયકારથી ગુજરાતના વિવિધ મંદિર પરિસરો ગુંજી ઉઠ્યા હતા. પાવાગઢ, અંબાજી, ખોડલધામ અને ભદ્રકાળી માતાના મંદિરે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. પ્રથમ દિવસે રાજ્યના 9 મોટા મંદિરોમાં 12 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જેમાં પાવાગઢમાં 3 લાખ, અંબાજીમાં 2.16 લાખ, ચોટીલામાં 1 લાખ, માતાના મઢમાં 1.50 લાખ ભક્તોએ દર્શન કર્યાં હતા.
Gujarat News : પ્રથમ નોરતે મા જગદંબાના જય-જયકારથી ગુજરાતના વિવિધ મંદિર પરિસરો ગુંજી ઉઠ્યા હતા. પાવાગઢ, અંબાજી, ખોડલધામ અને ભદ્રકાળી માતાના મંદિરે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. પ્રથમ દિવસે રાજ્યના 9 મોટા મંદિરોમાં 12 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જેમાં પાવાગઢમાં 3 લાખ, અંબાજીમાં 2.16 લાખ, ચોટીલામાં 1 લાખ, માતાના મઢમાં 1.50 લાખ ભક્તોએ દર્શન કર્યાં હતા.
પ્રથમ નોરતે શ્રીફળ-ચૂંદડી અને ફૂલ-પ્રસાદ સાથે શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અંબાજીમાં પ્રથમ નોરતે લાખો ભક્તોએ માતાજીના દર્શન કર્યાં હતાં. માતાજીને વહેલી સવારે વિશેષ શણગાર સાથે મંગળા આરતી કરાઈ હતી, ત્યારબાદ રાજભોગમાં સોજીના શીરાનું નૈવેદ્ય ધરાવાયું હતું. મંદિરના યજ્ઞમંડપમાં રોજ 14 કુંડી હવન કરવામાં આવે છે, પરંતુ પ્રથમ નોરતે વધુ 8 સાથે કુલ 22 યજ્ઞકુંડીમાં 150થી વધુ માઈભક્તોએ આહુતિ આપી માતાજીની વિશેષ આરાધના કરી હતી.
આ પાવાગઢમાં વહેલી સવારે 4 કલાકે દર્શન શરૂ કરી દેવાયા હતા. ભક્તો શનિવાર રાતથી જ પાવાગઢ મંદિર પર પહોંચી ગયા હતા. માતાજીના જયઘોષ સાથે વહેલી સવારે મંદિરના કપાટ ખોલવામાં આવતા જ ગુજરાત સહિત મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોમાંથી આવેલા ભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
તો આતરફ નગરદેવી ભદ્રકાળી મંદિરમાં સવારે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. સવારથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી મંદિરના દ્વાર ખુલ્લા રખાયા હતા. દિવસ દરમિયાન 40 હજારથી વધુ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો.