સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ વિરુદ્ધ સોમપુરા સમાજના બ્રાહ્મણો રોષે ભરાયા છે. ત્યારે સોમનાથ નજીકના હમીરજી સર્કલ પાસે સોમપુરા ટ્રસ્ટની વિરુદ્ધમાં સોમપુરા બ્રાહ્મણોએ ઉપવાસ આંદોલન છેડ્યું. એટલું જ નહીં તેઓ સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ વિરુદ્ધ નારા લગાવતા પણ નજરે પડ્યા. હકીકતમાં સોમનાથ મંદિરની યજ્ઞશાળામાં બહારના રાજ્યોની પાઠશાળાના વિદ્યાર્થીઓને લાવીને પાઠ કરાવવામાં આવે છે. આ જ વાતનો સોમપુરા બ્રાહ્મણો વિરોધ કરી રહ્યા છે. ઉપવાસ આંદોલનને પગલે પ્રભાસ પાટણ પોલીસ દ્વારા લગભગ 70થી પણ વધુ બ્રાહ્મણોની અટકાયત કરીને તેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.
જો કે પોલીસ સ્ટેશનમાં પહોંચીને પણ સોમપુરા બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે તેમનો વિરોધ યથાવત રાખ્યો હતો. સોમપુરા બ્રાહ્મણોનું કહેવું છે કે તેઓ પેઢી દર પેઢી સદીઓથી સોમનાથ મહાદેવની સેવા કરે છે. ભૂતકાળમાં કેટલાંય સોમપુરા બ્રાહ્મણોએ સોમનાથ માટે જીવની આહુતિ આપી દીધી. અને એટલે જ સોમનાથમાં માત્ર સોમપુરા બ્રાહ્મણોને જ યજ્ઞ કરવા દેવામાં આવે.
આગેવાનોના શબ્દો જ સ્પષ્ટ કરી રહ્યા છે કે સોમપુરા બ્રાહ્મણો અને ટ્રસ્ટ વચ્ચે ફાંટા પડી ગયા છે. સોમનાથના ધારાસભ્ય વીમલ ચૂડાસમા પણ બ્રાહ્મણોને મળવા પહોંચ્યા હતા. તેમનો પણ આક્ષેપ છે કે પહેલાં પણ આ મુદ્દે ખાતરી આપ્યા બાદ ટ્રસ્ટે તેનો નિર્ણય ફેરવી તોળ્યો હતો.
આખરે વિવાદ વકરતા સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે ખાત્રી આપી છે કે સોમનાથ ટ્રસ્ટની આગામી બોર્ડ મીટીંગમાં આ બાબતે વિચાર વિમર્શ કરીને યોગ્ય નિર્ણય લેવાશે. ત્યારે સમગ્ર મામલો થાળે પડ્યો હતો. જો કે સોમપુરા બ્રાહ્મણોનો મિજાજ જોતા આગળ ઉગ્ર આંદોલનની શક્યતાને પણ. નકારી શકાય તેમ નથી.
Input Credit- Yogesh Joshi- Gir Somnath