સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના બાયપાસ રોડને હાલમાં ફોર લાઈન કરવામાં આવી રહ્યો છે. આ પહેલા આ માર્ગ પર ઈલોલ ચોકડી પર અકસ્માતો સર્જાતા હોવાની ફરિયાદો ઉઠી હતી. સ્થાનિકો દ્વારા ઈલોલ-પાણપુર ચોકડી પર અકસ્માતો સર્જાતા હોવાને લઈ અવારનવાર રજૂઆતો કર્યા બાદ હવે ફોરલેન માર્ગમાં અકસ્માતને લઈ નિરાકરણ લાવવા માટે માંગ કરવામાં આવી છે. સ્થાનિકોએ અહીં સર્કલ બનાવવા અથવા તો રોડ એન્જિનિયરીંગમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે.
અકસ્માતમાં ઘટાડો થાય એ રીતે અહીં યોગ્ય નિરાકરણ લાવવા માટે સ્થાનિકોએ રોષ ઠાલવતા રોડ પર ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકો દ્વારા રોડ પર વાહનોની આડશો ઉભી કરી દઈને રોડને બ્લોક કરી દઈ બાયપાસ માર્ગ પર ચક્કાજામ કરીને વિરોધ રજૂ કર્યો હતો. માર્ગ પર મોટી કતારો વાહનોની જામી હતી. જેને લઈ સ્થાનિક હિંમતનગર રુરલ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ચક્કાજામ કરનારાઓને રોડ પરથી દૂર કરીને માર્ગને પૂર્વવત કરવામાં આવ્યો હતો. હાલમાં ફોરલેન બાયપાસ થતા અકસ્માતોનુ પ્રમાણ ઘટવા સાથે ઝડપી અને સલામત વાહનવ્યવહાર થવાની આશા છે. આ સાથે જ હાઈવે પર ડીવાઈડર યોગ્ય રીતે તૈયાર કરવામાં આવતા રોડ ક્રોસ કરવામાં બેદરકારી દાખવતા લોકોથી મુશ્કેલીમાં મુકાતા વાહનચાલકોને પણ સલામત વાહન હંકારવાની રાહત મળશે.