હોદ્દો સંભાળતા રાજેન્દ્ર ત્રિવેદીએ ઉચ્ચારી ચિમકી, કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગત નહીં ચાલે
કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસુલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદો અને ન્યાય વિભાગનો ચાર્જ સંભાળ્યો. રાજેન્દ્ર ત્રિવેદીએ આ પ્રસંગે મહત્વની વાત કરી કે 50 હજાર આપદા મિત્રોની ટીમ તૈયાર કરાશે જે આપદાની સ્થિતિમાં કાર્યરત રહેશે.
કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસુલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદો અને ન્યાય વિભાગનો ચાર્જ સંભાળ્યો. કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પરિવાર સાથે ચાર્જ લેવા માટે સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઓફિસ ફાળવવામાં આવી છે. ચાર્જ સંભાળતા સમયે કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે લોકોની સુખાકારી માટે કામ કરીશું. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ન્યાય સસ્તો, સરળ અને શુદ્ધ ન્યાય મળે તે માટે કામ કરવામાં આવશે. ઉપરાંત તેમને વકીલોની કોન્ફરન્સ કરવાની પણ વાત કરી. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ગુજરાતમાં ગુનેગારને ભાગી જવું પડે એવા કાયદા લાવ્યા છે. મહેસુલ વિભાગમાં કાયદાની પ્રક્રિયાની અનેક સમસ્યાઓ હોય છે. લોકોની આ સમસ્યા બાબતે પણ કામ કરવામાં આવશે.
50 હજાર આપદા મિત્રોની ટીમ તૈયાર કરાશે
ગુજરાતના અનુક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી ચાલુ છે. કેટલીક જગ્યાએ પાણી ભરાયેલા છે ત્યાં ઝડપથી કામગીરી કરવામાં આવશે. સાથે 50 હજાર આપદા મિત્રોની ટીમ તૈયાર કરાશે જે આપત્તિના સમયે કામગીરી કરશે.
કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગત નહીં ચાલે
બિન ખેતીની બાબતને લઈને કહ્યું કે આ બાબતોમાં ખોટો વિલંબ થતો હોય છે. આવા કેસોની સમીક્ષા કરવામાં આવશે. હોદ્દો સંભાળતા રાજેન્દ્ર ત્રિવેદીએ ચિમકી ઉચ્ચારી, કહ્યું કે સરકારનો ઉદ્દેશ સારો છે. પાછળના તમામ સારા કાર્યોને સાથે લઈને અમે ચાલીશું. તેમજ કડક સ્વરમાં તેમણે કહ્યું કે કર્મચારી અધિકારોની મિલીભગત જરા પણ સાંખી લેવામાં નહીં આવે.
કડક સૂરમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અધિકારીઓને ચેતવણી આપી છે. અને કહ્યું છે કે કર્મચારીઓ અને અધિકારીઓ ઝડપથી કામ કરે. તેમજ કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગત બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. આ સાથે જ તેમણે મહેસૂલમાં જેટલા કેસો પેન્ડિંગ છે તેની કલેક્ટર પાસેથી માહિતી માંગવાની પણ વાત કરી.
રાજેન્દ્ર ત્રિવેદીએ એમ પણ કહ્યું કે જમીનની નોંધ ઝડપથી પડતી નથી. અધિકારીઓની એવી વૃત્તિના કારણે વિલંબ થાય છે. આ પ્રક્રિયા સરળ થાય એ માટે મામલતદાર સુધી વીડિયો કોન્ફરન્સ કરવામાં આવશે. પેન્ડિંગ અપીલોનો નિકાલ ઝડપથી આવે તે માટે કામ કરવામાં આવશે. આ માટે કલેક્ટરો સાથે બેઠક થશે. તેમજ હકપત્રકની નોંધ બાબતે કાળજી લાવવાની વાત પણ કહેવામાં આવી. સાથે જ કહ્યું કે સમયસર નોંધો નહીં પડેલી હોય તો કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકોને જ્યાં મુશ્કેલી પડે છે તેની સમીક્ષા પણ થશે.
આ પણ વાંચો: Surat: શહેરના માથાભારે આરોપી અશરફ નાગોરીને ATS એ ઝડપી પાડ્યો, આરોપી સામે ગુજસીટોકનો ગંભીર ગુનો
આ પણ વાંચો: Rajkot: વાગુદડ નજીક નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો તણાયા, 2નો આબાદ બચાવ