Breaking News : ગાંધીનગરના કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન
વરસાદી પાણીના યોગ્ય નિકાલની કામગીરીના અભાવે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગાંધીનગરના કલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણીના યોગ્ય નિકાલની કામગીરીના અભાવે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગાંધીનગરમાં ધોધમાર વરસાદ
કલોલના ગુરુકુળ, બળિયા દેવ મંદિર અને પંચવટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું હતું. આ ઉપરાંત સુદર્શન ચોકડી, કોબ્રા સર્કલ અને ટાવર ચોક સહિતના વિસ્તારોમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર થઈ હતી.
શહેરના મટવા કૂવા, કવિતા સર્કલ અને વખારિયા ચોકડી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક સ્થળોએ પાણી રસ્તા પર ફરી વળતાં રોડ-રસ્તા બંધ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.
પાણી નિકાલની કામગીરી સામે સવાલ
સ્થાનિકોમાં ચર્ચા છે કે, વરસાદ પહેલાં ડ્રેનેજની યોગ્ય સફાઈ અને પાણીના નિકાલ માટે જરૂરી કામગીરી કરવામાં આવી હોત તો આવી સ્થિતિ ટાળી શકાઈ હોત. વારંવાર પાણી ભરાતા ડ્રેનેજ સફાઈ અને રોડ-રસ્તાની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, અણઘડ અને પૂરતા આયોજન વિના કરવામાં આવેલા વિકાસ કામોને કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. વરસાદ પડતાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોવાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે.
ગટર અને પાણીનો પ્રશ્ન યથાવત
કલોલમાં ગટર અને વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે. કલોલ નગરપાલિકામાં 25 વર્ષથી વધુ સમયથી ભાજપનું શાસન હોવા છતાં ગટર અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
હવે વરસાદી સિઝનમાં ફરી પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સ્થાનિકો દ્વારા પાણીના ઝડપી નિકાલ, ડ્રેનેજની નિયમિત સફાઈ અને વરસાદી પાણી માટે યોગ્ય આયોજન કરવાની માંગ કરવામાં આવી રહી છે.