
Breaking News : પરષોત્તમ સોલંકીએ ફરી બતાવ્યો તેનો દબંગ અંદાજ
ગુજરાતના રાજકારણમાં જાણીતા અને કોળી સમાજના અગ્રણી નેતા પરષોત્તમ સોલંકીનો દબંગ અંદાજ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં ઉના તાલુકાના સીમર ગામે આયોજિત કોળી સમાજના સમૂહ લગ્નમાં તેમણે એક મહત્વપૂર્ણ અને સૂચક નિવેદન આપ્યું હતું. આ નિવેદન દ્વારા તેમણે પોતાના સમાજને મજબૂત ટેકો અને સુરક્ષાની ખાતરી આપી હતી.
પરષોત્તમ સોલંકીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “કોઈ તમને ધોકા મારે તો પરષોત્તમ સોલંકી છે.” તેમણે કોઈ ચોક્કસ વ્યક્તિ કે જૂથનું નામ લીધા વિના ઉમેર્યું કે, “જેને જે સમજવું હોય તે સમજે.” આ નિવેદનને બગદાણા કેસ સાથે જોડવામાં આવી રહ્યું છે, જ્યાં કોળી સમાજના એક યુવકને માર મારવામાં આવ્યા બાદ મામલો ગરમાયો હતો અને માયા આહીરના દીકરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટના બાદ સોલંકીનું આ નિવેદન કોળી સમાજમાં સુરક્ષા અને ન્યાયની ભાવનાને મજબૂત બનાવનારું મનાય છે.
પોતાના સંબોધનમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કોઈનાથી અકળાવું નહીં. બધા પાછળ વાતો કરે અને હું પહેલા કામ કરું છું.” તેમણે કહ્યુ સમાજના લોકોને દબાવવાનો પ્રયાસ થાય તો દબાવવું નહીં, કારણ કે “પરષોત્તમ સોલંકી બેઠા છે” તેમ કહીને તેમને હિંમત આપી હતી. સોલંકીએ પોતાની કાર્યશૈલી સ્પષ્ટ કરતા કહ્યું કે તેઓ બિનજરૂરી વાતો કરવામાં માનતા નથી, પરંતુ જ્યારે સમાજના ભાઈઓ-બહેનો પર અત્યાચાર થાય ત્યારે તેઓ સૌથી પહેલા આગળ આવે છે.
તેમણે પોતાના અનુભવો અને ભૂતકાળના દાખલા ટાંકતા કહ્યું કે, “તમને બધાને ખબર છે કે હું વધારે બોલતો નથી. એક મર્યાદા હોય. તમે બધાએ હમણાંનો નવો એક દાખલો હતો કે હું કોઈ ગામમાં ગયો અને મેં પબ્લિક જોઈને તો મારાથી રહેવાણું નહીં. એટલે મારાથી કહેવાઈ ગયું કે તમે ચિંતા કરતા નહીં. તમને કોઈ ટેન્શન હું નહીં આપું. પણ તમને કોઈ ધોકા મારેને તો પરષોત્તમ સોલંકી છે.”
મંત્રી સ્તરના નેતા દ્વારા જાહેરમાં આવા નિવેદન આપવા પર થતી ચર્ચાઓનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, “બધા કહેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે. મેં કીધું જેને જે હમજવું હોય એ હમજે.” સોલંકીએ પોતાને સમાજના દીકરા તરીકે ઓળખાવતા કહ્યું કે તેમને બીજું કંઈ આવડતું નથી સિવાય કે સમાજ માટે કામ કરવું. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “આપણા સમાજના બેનો ભાઈઓ પર ક્યાંક અત્યાચાર થયા હોય ને તો બધા પાછળ વાત કરે અને હું સૌથી પહેલો વાત કરું. મને એ બધું ન ગમે.” આ નિવેદન દ્વારા પરષોત્તમ સોલંકીએ કોળી સમાજ પ્રત્યેની પોતાની અતૂટ પ્રતિબદ્ધતા અને તેમના હિતોનું રક્ષણ કરવાની દ્રઢતા ફરી એકવાર દર્શાવી છે.
અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ, આ રહેશે ડાયવર્ઝન રુટ! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો