રાજ્યમાં ગેસના પુરવઠા અંગે ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ગેસ સપ્લાય ખોરવાઈ નહીં જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકારની પ્રથમ પ્રાથમિકતા એ છે કે ઘરોમાં ગેસનો પુરવઠો સતત ચાલુ રહે અને એકપણ ચૂલો બંધ નહીં થાય.
ઉર્જા પ્રધાનના જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં લગભગ 50 ટકા સુધી કાપ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત ફર્ટિલાઈઝર કંપનીઓ અને દૂધની ડેરીઓમાં વપરાતા ગેસના પુરવઠામાં પણ લગભગ 40 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય ઘરગથ્થુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવા માટે લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું.
તેમણે વધુમાં કહ્યું કે રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને ગેસ સપ્લાય સુનિશ્ચિત રહે તે માટે વિવિધ વિભાગો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત એ છે કે કોમર્શિયલ સિલિન્ડર અંગે હજુ સુધી કોઈપણ પ્રકારનો કાપ મૂકવામાં આવ્યો નથી.
સરકારનું કહેવું છે કે ગેસના પુરવઠા પર કોઈ ગંભીર અસર ન પડે અને સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.