Breaking News : ગિરનારની યાત્રા ફરી શરુ કરાઈ, બાળક પર સિંહના હુમલા બાદ લેવાયો હતો બંધ કરવાનો નિર્ણય
11 વર્ષના બાળક પર સાવજના હુમલા બાદ અને તેને ખેંચીને લઈ ગયા બાદ યાત્રાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે યાત્રા ફરી શરુ કરવામાં આવી છે.
જૂનાગઢ: ગિરનાર સીડી માર્ગ યાત્રિકો માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો છે. આજે વહેલી સવારથી યાત્રિકોને ગિરનાર માર્ગ પરથી અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવી છે. તંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ સીડી માર્ગ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાળક પર સાવજના હુમલા બાદ અને તેને ખેંચીને લઈ ગયા બાદ યાત્રાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે યાત્રા ફરી શરુ કરવામાં આવી છે.
ગિરનાર યાત્રા ફરી શરુ કરાઈ
ઉલ્લેખનીય છે કે, 11 જુલાઈએ ગિરનાર સીડી માર્ગ પર સાવજે એક બાળકનો શિકાર કરવાની ઘટના બની હતી. આ દુર્ઘટના બાદ યાત્રિકોની સલામતીને પ્રાથમિકતા આપતા વહીવટી તંત્ર અને વન વિભાગે ગિરનારની સીડી માર્ગ અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધો હતો.
ઘટના બાદ 3 સિંહ પાંજરે પુરાયા
ઘટના બાદ વન વિભાગે સઘન કોમ્બિંગ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન 3 સિંહોને પકડીને પાંજરે પુરવામાં આવ્યા છે, જેમાં 2 સિંહ અને 1 સિંહણનો સમાવેશ થાય છે.
વન વિભાગ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ અને સતત દેખરેખ બાદ હવે ગિરનાર સીડી માર્ગ ફરીથી યાત્રિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે, જેથી શ્રદ્ધાળુઓ ફરીથી ગિરનાર યાત્રા કરી શકશે.
બાળક પર સાવજે કર્યો હતો હુમલો
મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો પરિવાર ગિરનાર પર અંબાજી માતાના દર્શન માટે આવ્યો હતો. પરિવારના સભ્યો આશરે 50 જેટલા પગથિયાં ચઢ્યા હતા ત્યારે મયૂરસિંહ પોતાની માતા સાથે ચાલતો હતો. એ દરમિયાન અચાનક સાવજે હુમલો કરી બાળકને પરિવાર વચ્ચેથી ખેંચી જંગલ તરફ લઈ ગયો. બાદમાં નજીકના જંગલ વિસ્તારમાં બાળકના કપડાં અને પગના અવશેષ મળી આવ્યા હતા. ઘટનાથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.