અમદાવાદમાં સલામતીને લઇને ફરી એક વખત સવાલો ઉઠ્યા છે. શહેરમાં અસામાજિક તત્વો અને બુટલેગરો બેફામ બન્યા હોય અને વિસ્તારમાં પોલીસની કોઈ ધાક જ નો હોય તેમ પોલીસ પર જ હુમલો થયાની ઘટના સામે આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરના ગરીબનગર ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે કેટલાક લોકો ટોળું વળીને ઉભા હતા. જે સમયે બાપુનગર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ ડી.ડી.પ્રજાપતિ અને તેમનો સ્ટાફ ત્યાંથી પસાર થયા હતા ત્યારે ટોળુ વળેલા લોકોને હટાવવા માટે તેમની સાથે વાતચીત કરી હતી.
તેવામાં કેટલાક લોકોએ પોલીસ સાથે ગાળાગાળી કરી સરકારી જીપ પર પથ્થર મારો શરૂ કર્યો હતો. જે પથ્થરમારામાં પોલીસની ગાડીને નુકસાન પહોંચ્યું છે, તો બીજી તરફ પથ્થરમારા અને પોલીસ પર હુમલાની જાણ થતા આસપાસના અન્ય પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હુમલાખોરો વિરુદ્ધમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઘટનામાં ફઝલ શેખ, મહેફૂઝ તથા ફઝલના બહેન અને ભાભી સહિત 10 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પથ્થરમારા અને હુમલાની બનાવની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરતા હકીકત સામે આવી કે ફઝલ શેખ બાપુનગરની એક મહિલા બુટલેગરનો પુત્ર છે. છેલ્લા કેટલાક સમયથી બાપુનગર વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ બંધ હોવાથી પોલીસ સાથે અવારનવાર બુટલેગરોનું ઘર્ષણ અને બલાચાલી થતી હતી. જેમાં ગઈકાલે આ હુમલો કરવામાં આવ્યો હતો, સાથે જ હુમલા સમયે એક આરોપી મહેફૂઝ તલવાર લઈ આવી પોલીસને મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી પોલીસે ટોળા વિરુદ્ધ રાયોટીંગ, મારી નાખવાની ધમકી આપવી, સરકારી સંપત્તિને નુકસાન તથા હથિયાર ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Published On - 5:31 pm, Wed, 27 March 24