ગઈ કાલે મોડી રાત્રે મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. આ ઘટનાને પગલે NSG ની ટીમ જામનગર એરપોર્ટ પહોંચી છે. સતત 9 કલાકથી સુરક્ષા એજન્સીઓ દરેક વસ્તુનું ચેકિંગ કરી રહી છે. હાલ NSG સહિતની ટીમ મુસાફરો અને ફ્લાઈટની તપાસમાં જોતરાઈ છે. તો જામનગર, રાજકોટ, મોરબી સહિતની બોમ્બ સ્કવોડનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે.
ફ્લાઈટમાં સવાર 236 પ્રવાસી અને 8 ક્રૂમેમ્બરને સલામત રીતે બહાર કાઢવામા આવ્યા છે. જો કે સતત 9 કલાકના ચેકિંગ બાદ કોઇ શંકાસ્પદ વસ્તુ કે પદાર્થ મળ્યા નથી. મહત્વનું છે કે, મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બની શંકાને લઇ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ.
આ ઘટનાને પગલે એરપોર્ટના આસપાસના વિસ્તારમાં ઈમરજન્સી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જો કે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ પદાર્થ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હજુ સુધી ફ્લાઈટમાંથી કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો નથી.