અમદાવાદની અરિહંત એસ્ટેટમાં થયો બોઈલર બ્લાસ્ટ, વિસ્ફોટ એવો થયો કે બે લોકોના શરીરના ઉડી ગયા ફુરચેફુરચા- Video

|

Jun 24, 2024 | 6:48 PM

અમદાવાદના નિકોલ નજીક અરિહંત એસ્ટેટમાં ભયાનક બોઈલર બ્લાસ્ટ થયો હતો, જેમા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, બ્લાસ્ટ થતા જ બે લોકો તેની ચપેટમાં આવી જતા એકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી જ્યારે અન્ય એકનો હાથ કપાઈને ક્યાંક પડ્યો હતો. અન્ય બે લોકોને પણ ગંભીર ઈજા પહોંચી છે.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી અરિહંત એસ્ટેટમાં બોઈલર ફાટતા ભયાનક બ્લાસ્ટ થયો. જેમા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો સમગ્ર એસ્ટેટનું કોંક્રીટનું બાંધકામ તૂટી ગયુ છે, તેમજ આસપાસના યુનિટને પણ અસર પહોંચી છે. અરિહંત એસ્ટેટના ગોડાઉનમાં આ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થતા જ આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી.

પાવર કોટિંગ કરતી ફેક્ટરીમાં બ્લાસ્ટ

બંસી પાઉડર કોટિંગ નામની ફેક્ટરીમાં આ બ્લાસ્ટ થયો હતો. ફેક્ટરીમાં વિવિધ સાધનોને કલર અને પાઉડર કોટિંગ કરવામાં આવતુ હતુ. જેમા કોમ્પ્રેસર કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપયોગમાં લેવાતા હતા.

આસપાસના 5 શેડને પણ નુકસાન

ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ કમ્પ્રેસરમાં LPG સિલિન્ડરમાં પ્રેશર થતા લિકેજ કે સ્પાર્કના કારણે આ બ્લાસ્ટ થયો હોવાનુ પ્રાથમિક અનુમાન છે. FSLની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. ઘટનાસ્થળેથી પાંચ કોમર્શિયલ LPG સિલિન્ડર પણ મળી આવ્યા છે. આ બ્લાસ્ટના કારણે 5 ઈન્ડસ્ટ્રીયલ શેડ 74, 75, 76, 56, 57ને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે.

વિસ્ફોટમાં 2 ના મોત, 4 લોકોને ગંભીર ઈજા

આ બ્લાસ્ટમાં કૂલ પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. જેમા બે લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતક વ્યક્તિઓમાં ફેક્ટરીના માલિક રમેશ પટેલ અને પવન કુમાર નામના કારીગરનો સમાવેશ થાય છે. ચાર ઈજાગ્રસ્તોમાં સુરપાલસિંહ, વાસુદેવ પટેલ, કનુભાઈ અને સહદેવનો સમાવેશ થાય છે.

આગ પર કરાયો કાબુ

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ કરી લેવાયો છે. ફાયરની ટીમ પહોંચી એ પહેલા જ બ્લાસ્ટમાં બે લોકોના ગંભીર રીતે ઈજા થવાના કારણે મોત થયા હતા.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો  

Published On - 6:29 pm, Mon, 24 June 24

Next Video