ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલો અંડરપાસ જર્જરિત હાલતમાં છે. અંડરપાસની દીવાલો પર તિરાડો દેખાઈ છે, કેટલીક જગ્યાએ સળિયા પણ બહાર ડોકિયું કરી રહ્યા છે. ચોમાસામા અંડરપાસની છત પરથી સતત પાણી ટપકે છે. અંડરપાસના રોડ પર પણ ઠેર-ઠેર ખાડા છે. અંડરપાસની ઉપરથી ટ્રેન પસાર થતી હોય છે જ્યારે વાહનચાલકો અંડરપાસમાંથી પસાર થાય છે. આમ હેવી ટ્રાફિક ધરાવતા આ અંડરપાસનું તાત્કાલિક સમારકામ થાય તે જરૂરી છે. કુંભારવાડા અંડરપાસની કામગીરી સામે વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા છે..અને તાત્કાલિક સમારકામ કરવાની માગણી કરી છે.
આ અંડરપાસ ઉપરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. આ ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને, અંડરપાસની ખરાબ હાલત ગંભીર ચિંતાનો વિષય છે. જો સમયસર સમારકામ નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. વિપક્ષે પણ આ બાબતને ગંભીરતાથી લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને તાત્કાલિક સમારકામ કરવાની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે આ બેદરકારી ખૂબ જ ગંભીર છે અને જો તંત્ર આ બાબતમાં ધ્યાન નહીં આપે તો ભવિષ્યમાં મોટો અકસ્માત થવાની શક્યતા છે.
બીજી તરફ મનપાના કમિશનરે દાવો કર્યો કે અમે અંડરપાસની સ્થળ મુલાકાત લઈને તપાસ કરી છે. રીપેરીંગની જરૂરિયાત હોવાથી રેલવે વિભાગ સાથે પણ ચર્ચા થઈ છે, તાત્કાલિક ધોરણે અંડરપાસનું સમારકામ કરાશે.સાથે તેમણે કહ્યું કે અંડરપાસને સમારકામની જરૂરિયાત છે પરંતુ અંડરપાસનું સ્ટ્રકચર જોખમી હાલતમાં નથી.