બનાસકાંઠાના અંબાજીમાં 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાનો છે. ભાદરવી પૂનમના મેળાને લઇ આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી ના પડે, યાત્રિકોની હાઇવે પર સુરક્ષા, રસ્તા પર ભરાતા વરસાદી પાણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મેળા દરમિયાન પાણીનો ભરાવો ના થાય તે અંગેની ચર્ચા-વિચારણા કરાઇ હતી.
આ ઉપરાંત મંદિરમાં દર્શન સમયે GISF દ્વારા જે વર્તન કરાય છે. તે બાબતે પણ રજૂઆત કરાઇ હતી. મહત્વનું છે કે શ્રદ્ધાળુઓને કોઇ અગવડતા ના પડે. તેમને પૂરતી સુરક્ષા અને સુવિધા મળે તેને લઇ પ્રયાસ હાથ ધરાયા છે. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં પાટણ અને મહેસાણાના સાંસદ, જિલ્લા કલેકટર, SP અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે અંબાજીમાં નોંધાયેલા 1576 સંઘોના અગ્રણી પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.