Vadodara : વડોદરાના વાઘોડિયાના પાટીયાપુરા ગામની આંગણવાડી એટલી બિસ્માર છે કે પડવાના વાંકે ઉભી છે. જર્જરિત આંગણવાડીની છતમાંથી પાણી ટપકે છે. આંગણવાડીના ઓરડાઓમાં અને ઓટલાઓ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેથી બાળકોને બેસવામાં ભારે હાલાકી પડી રહી છે.
આ પણ વાંચો : Vadodara: ડભોઈના ચાણોદ અને કરનાળીમાં વરસાદે વિરામ લેતા વહીવટીતંત્ર એક્શનમાં, શરૂ કરી સફાઈ ઝુંબેશ
આ સાથે જ ઈલેક્ટ્રીક વાયરિંગ પણ ખસ્તા હાલતમાં છે. આંગણવાડીનો સામાન અને રમતગમતના સાધનો છતમાંથી ટપકેલા પાણીને કારણે ભીંજાઈ ગયા છે. આ સ્થિતિમાં પણ માસૂમ બાળકો અહીં ભણવા મજબૂર છે. બીજી તરફ બાળવિકાસ અધિકારીનું કહેવું છે કે આ આંગણવાડીને જર્જરિત સાબિત કરવા માટે તેમના ઉપરી અધિકારીની લેખિત મંજૂરી જરૂરી છે.
તો બીજી તરફ વડોદરાના શિનોરમાં બ્રિજની બિસ્માર સ્થિતિ સામે આવી છે. શિનોરનો માલસર-અશા નર્મદા બ્રિજ વિવાદમાં આવ્યો છે. બ્રિજનું ઉદઘાટન થાય તે પહેલા જ બ્રિજમાં તિરાડો પડેલી જોવા મળી છે. બ્રિજનો એક ભાગ 4 ઈંચ જેટલો ખસી જતા નવા બાંધકામ સામે સવાલો ઉઠી રહ્યા છે. વડોદરામાં પડેલા ભારે વરસાદ આ બ્રિજના બાંધકામની પોલ ખોલી નાંખી છે. બ્રિજનું નિર્માણ કરનાર એસ.પી.સિંગલા કંપની સામે માલસર ગામના લોકોએ રોષ ઠાલવ્યો છે.