માંડલ – અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંધાપાકાંડના પગલે ગુજરાત મેડિકલ કાઉન્સિલએ મીટીંગ કરી હતી જેમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 3 ડોકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ બરખાસ્ત કરવામાં આવ્યા છે. માંડલ હોસ્પિટલના એક અને અમરેલી હોસ્પિટલના 2 તબીબના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
માંડલના ડો.જયમીન પંડ્યા, અમરેલીના ડો. એમ.આર.જીટીયા, ડો.પૂજા પરીખ,ડો. અંકિતા મોઢવાણી સામે કાર્યવાહી કરવામાં આવી છે. માંડલ-અમરેલી હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિરૂદ્ધ કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. અમરેલી મેડિકલ કોલેજ સામે પણ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ અમરેલી કોલેજના 4 નર્સિંગ સ્ટાફ વિરૂદ્ધ પગલા ભરવા આદેશ આપવામાં આવ્યો છે.
મહત્વનું છે કે અમદાવાદના માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ 28 દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા હતા. 17 જેટલા દર્દીએ પોતાની આંખની અંદર ઝાંખપ આવી ગઈ હોવાનું તેમજ ઓપરેશન બાદ આંખમાંથી પાણી નીકળી રહ્યું હોવાની સાથે આંખો સૂજી ગઈ હતી.
હોસ્પિટલના ડોક્ટર સહિત સંચાલક ટીમે 28 પૈકી 17 દર્દીને હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે દાખલ થવાની સૂચના આપી હતી. સ્થાનિક ડૉક્ટરે ફરીવાર તમામ દર્દીની તપાસ કરતા 17માંથી પાંચેક જેટલા દર્દીને આંખમાં વધારે અસર હોવાનું જણાતા તેમને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે 12 દર્દીને માંડલની હોસ્પિટલમાં જ ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે.
Published On - 9:44 am, Sun, 25 February 24