અંબાજી મંદિરે ભાદરવી પૂર્ણિમાના દરમિયાન મોહનથાળ પ્રસાદમાં ભેળસેળ વાળુ ઘી સપ્લાય કરવાના મામલે આરોપી દુષ્યંત સોનીએ મોટો ખુલાસો કર્યો છે. દુષ્યંત સોનીએ પાલનપુરમાં મેડીકલ ચેકઅપ સમયે પહોંચવા દરમિયાન આ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યુ હતુ કે, તે અમદાવાદના પાલડીમાંથી અલ્પેશ નામના વ્યક્તિ પાસેથી ઘીનો આ જથ્થો લઈને માધુપુરામાં નિલકંઠ ટ્રેડર્સમાં ઘીનો જથ્થો આપ્યો હતો. આમ નિલકંઠ ટ્રેડર્સને ઘી સપ્લાય કરવાને લઈ મોટો ખુલાસો આરોપી દુષ્યંત સોનીએ મીડિયા સમક્ષ કર્યો છે.
દુષ્યંત સોની હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ દ્વારા તેની તપાસ શરુ કરવામાં આવી છે. મેડિકલ ચેકઅપ માટે તેને પાલનપુર લઈ જવાયો હતો. જ્યા તેણે આ ખુલાસો કર્યો હતો. મોહનથાળ માટેનો ઘીનો જથ્થો નકલી લેબલ લગાવીને તૈયાર કરવામાં આવ્યો હતો. આ માટે સાબરડેરી દ્વારા ઉત્પાદન કરવામાં આવેલ હોવાના નકલી લેબલ લગાવી દઈને ઘીને સપ્લાય કર્યુ હતુ. સાબરડેરીએ આ મામલે ફરિયાદ નોંધાવતા મામલાની તપાસનો ધમધમાટ શરુ થયો હતો.