Breaking News : અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન

ચોમાસા દરમિયાન રસ્તાઓ પર ભૂવા પડવાની સમસ્યા ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે સ્વીકાર્યું છે કે શહેરમાં અંદાજે 150 જેટલા સ્થળોએ ભૂવા પડી શકે છે.

| Updated on: Jul 10, 2026 | 12:56 PM

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ પર ભૂવા પડવાની સમસ્યા ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે સ્વીકાર્યું છે કે શહેરમાં અંદાજે 150 જેટલા સ્થળોએ ભૂવા પડી શકે છે. કમલેશ પટેલે કહ્યું કે અમદાવાદમાં ભૂવા તો પડશે જ.

અમદાવાદમાં 150 જગ્યાઓ પર પડશે ભૂવા

કમલેશ પટેલના જણાવ્યા અનુસાર, શહેરમાં જ્યાં અગાઉ પાણીની લાઇન અથવા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી, તે સ્થળોએ જમીન બેસી જવાની (સેટલમેન્ટ) શક્યતા વધી રહે છે. જો કામગીરી બાદ નિયમ મુજબ પુરાણ અને વોટરિંગ યોગ્ય રીતે કરવામાં ન આવ્યું હોય, તો આવા સ્થળોએ ભૂવા પડી શકે છે. તેમણે જણાવ્યું કે 150થી વધુ જગ્યાઓ પર સેટલમેન્ટ થવાની શક્યતા છે. આથી તમામ સંબંધિત અધિકારીઓને સંભવિત સ્થળોની ઓળખ કરીને સમયસર જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નિવેદનથી લોકો ચોંક્યાં

AMCનો દાવો છે કે ચોમાસા દરમિયાન આવા સંવેદનશીલ સ્થળો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જ્યાં જરૂર જણાશે ત્યાં તાત્કાલિક સમારકામ કરવામાં આવશે, જેથી મોટી દુર્ઘટના ટાળી શકાય.

AMCની કામગીરી પર ઉભા થયા સવાલો

જોકે, AMCના આ નિવેદન બાદ અનેક સવાલો પણ ઊભા થયા છે. જો તંત્ર પહેલેથી જ સ્વીકારી રહ્યું છે કે કેટલાક સ્થળોએ ભૂવા પડી શકે છે, તો આવા જોખમોને સંપૂર્ણપણે દૂર કરવા માટે અગાઉથી અસરકારક કામગીરી કેમ કરવામાં આવી નથી?

ચોમાસામાં દર વર્ષે રસ્તાઓ પર પડતા ભૂવાના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાય છે. આવી સ્થિતિમાં હવે AMCના અધિકારી પોતે જાતે કહી રહ્યા છે કે ભૂવા તો પડશે જેને લઈને હવે લોકોએ પ્રશ્ન ઉભા કર્યા છે કે પહેલાથી જ ભૂવા પડવાની શક્યતાઓ રહેલી છે તો કામગીરી અગાઉથી કેમ નથી કરવામાં આવી રહી.

Breaking News : રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 6 દર્દીઓના મોત, આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us