Ahmedabad : સાબરમતી નદીમાં પાણીની આવક વધી, વાસણા બેરેજના 21 દરવાજા ખોલાયા

સાબરમતીની જળસપાટી વધતા સવારે 9.30 કલાકથી સાબરમતી રિવરફ્રન્ટ (Riverfront) લોકો માટે બંધ કરવામાં આવ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 2:08 PM

ધરોઈ ડેમમાંથી (Dhroi dam) સાબરમતી નદીમાં પાણી છોડાયું છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં  (Sabarmati River) 78 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી હાલ વાસણા બેરેજના 21 દરવાજા ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી (Vasna Barage) 37 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોને સૂચન કરવામાં આવ્યુ છે. સાબરમતીની જળસપાટી વધતા સવારે 9.30 કલાકથી સાબરમતી રિવરફ્રન્ટ (Riverfront) લોકો માટે બંધ કરવામાં આવ્યો છે.

નીચાણવાળા વિસ્તારોમાં તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના

ડેમમાં પાણીની આવક વધતાં ધરોઈ ડેમના 8 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં એક દરવાજો 6 ફૂટ અને એક દરવાજો 3 ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમમાંથી મોટી માત્રમાં પાણી છોડાતા મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, બનાસકાંઠા અને આણંદના કલેક્ટરને એલર્ટ  (Alert) કરાયા છે. નદીકાંઠાના ગામો અને નીચાણવાળા વિસ્તારોમાં તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. હાલ ડેમમાં 67 હજાર 506 ક્યુસેક પાણીની આવક અને જાવક થઈ રહી છે. ડેમની જળસપાટી 619.36 ફૂટ પર પહોંચી છે અને ભયજનક સપાટી 622 ફૂટ છે. ડેમમાં અત્યાર સુધી 88.47 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

ધરોઈ ડેમના આઠા દરવાજા ખોલવામાં આવ્યા

સાબરમતી નદીમાં મંગળવારે સાંજે 5 કલાક સુધી 17, 500 ક્યુસેકની આવક નોંધાઈ હતી અને નદીમાં એટલા જ પ્રમાણમાં છોડવામાં આવી રહ્યુ હતુ. આ માટે 4 ગેટ 0.91 મીટર ખુલ્લા રાખવામાં આવ્યા હતા. જોકે સાંજે છ કલાકે 26 હજાર ક્યુસેક આવક થતા વધુ બે ગેટને 0.91 મીટર માટે ખોલવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાત્રીના 10 કલાકે ધરોઈ માં પાણીની આવક બમણી થઈ હતી અને 54 હજાર ક્યુસેક નોંધાઈ હતી. જેને લઈ રાત્રી દરમિયાન વધુ બે ગેટ ખોલવાનો નિર્ણય લેવાયો હતો. આમ 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

મંગળવારે રાત્રી દરમિયાન 1.52 મીટર સુધી આઠેય દરવાજા ખોલીને 54 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. જે રાત્રીના 11 કલાકે નદીમાં ફ્લો 78 હજાર ક્યુસેક સુધી છોડવામાં આવ્યો હતો. ઉપરવાસ રાજસ્થાન અને સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં સારા વરસાદને લઈ નદીમાં પાણીની આવક વધતા 8 દરવાજા ફરીથી ખોલવાની સ્થિતી સર્જાઈ હતી. જોકે બુધવારે સવારે આવકમાં ઘટાડો થતા નદીમાં 65 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. જે રાત્રીના 3 કલાક થી સવારે 8 કલાક સુધી આ જ સ્થિતીએ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. જોકે મધ્ય રાત્રી બાદ બે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. અને 6 દરવાજાને 2.43 મીટર જેટલા ખુલ્લા રાખવામાં આવ્યા હતા.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">