Ahmedabad : કોરોનાની સ્થિતિ વકરતા ખાનગી હોસ્પિટલોને AMCનો આદેશ, કોરોના દર્દીઓ માટે ફરજિયાત 50 ટકા બેડ ખાલી રાખો
Ahmedabad : AMCના આ આદેશથી કોરોના દરદીઓને 18 ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે 1219 બેડનો લાભ મળશે.
Ahmedabad : રાજ્યમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણના નવા કેસો, એક્ટીવ કેસો અને કોરોનાથી થતા મૃત્યુમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સૌથી ખરાબ સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વકરતા હવે AMCએ ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવાર અંગે મહત્વનો નિર્ણય લીધો છે.
ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ ખાલી રાખો
Ahmedabad માં કોરોનાની સ્થિતિ વકરતા મ્યુનિસિપલ કમિશ્નરે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. AMCના આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે શહેરમાં કોરોના દર્દીઓના થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને દર્દીઓને સારવાર મળી રહે તે માટે તમામ મોટી ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ ફરજિયાતપણે કોરોના દર્દીઓની સારવાર માટે ખાલી રાખવા પડશે. AMCના આ આદેશથી કોરોના દર્દીઓને 18 ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે 1219 બેડનો લાભ મળશે.
સારવારનો ખર્ચ દર્દીએ ભોગવવાનો રહેશે
AMC એ જાહેર કરેલા આદેશમાં આ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ ફરજિયાતપણે કોરોના દર્દીઓની સારવાર માટે ખાલી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે, પણ આવી હોસ્પિટલમાં કોરોના સારવાર માટેનો તમામ ખર્ચ દર્દીઓએ જ ભોગવવો પડશે. એટલે કે આ આદેશ અંતર્ગત આવતી હોસ્પિટલો AMC સંપાદિત એટલે કે કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલો નથી.
આ 18 હોસ્પિટલોમાં મળશે સારવાર
AMC એ જાહેર કરેલા આદેશમાં આ તમામ 18 ખાનગી હોસ્પિટલની યાદી પણ આપવામાં આવેલી છે અને આ સાથે તેમાં રહેલા ખાલી બેડની સંખ્યા પણ બતાવવામાં આવી છે.
1. ઝાયડ્સ હોસ્પિટલ, થલતેજ
2. કે.ડી. હોસ્પિટલ, વૈષ્ણવદેવી
3. સ્ટર્લિંગ હોસ્પિટલ, મેમનગર
4. નારાયણા હોસ્પિટલ, રખિયાલ
5. સેવિયર હોસ્પિટલ નવરંગપુરા
6. પારેખ હોસ્પિટલ, સેટેલાઇટ
7. એશિયન બેરીયટીક, બોડકદેવ
8. સિંધુ હોસ્પિટલ, કુબેરનગર
9. સિધ્ધિ વિનાયક હોસ્પિટલ, મણિનગર
10. પુખરાજ હોસ્પિટલ, સાબરમતી
11. એવરોન હોસ્પિટલ, નારણપુરા
12. કર્ણાવતી હોસ્પિટલ, એલિસબ્રિજ
13. દેવસ્ય હોસ્પિટલ, નવાવાડજ
14. લોખંડવાલા હોસ્પિટલ, પ્રેમ દરવાજા
15. એપોલો પ્રાઈમ, બાપુનગર
16. કર્મદીપ હોસ્પિટલ, બાપુનગર
17. સેટેલાઇટ હોસ્પિટલ, સેટેલાઇટ
18. ચૌધરી હોસ્પિટલ, સૈજપુર
રાજ્યમાં સ્થિતિ વકરી હોવાની સરકારની કબુલાત
અમદાવાદ સહીત ગુજરાતમાં કોરોના મહારોગની સ્થિતિ બહુ જ ગંભીર હોવાની વાતનો નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આડકતરી રીતે સ્વીકાર કરતા કહ્યુ કે, રોજ 3000ની આસપાસના કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાના દર્દીઓની સંખ્યાને જોતા, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વધુને વધુ કોવીડ19 માટેના બેડ ઉપલબ્ધ થાય તેવા પગલા રાજ્ય સરકાર લઈ રહી છે. અમદાવાદની મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં બનાવેલ કિડીની હોસ્પિટલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત એસવીપી (svp) હોસ્પિટલ, યુ એન મહેતા હોસ્પિટલ, કિડની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે વધુ પથારીની સવલત ઉભી કરાશે.